
અમદાવાદના શાંતિગ્રામ વિસ્તારમાં આવેલી અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે તા. 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા IRIS રાષ્ટ્રીય મેળો 2025-26 (કોહોર્ટ-2)એ શહેરને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે શાળાકીય સંશોધન અને નવીનતાનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. ત્રણ દિવસ ચાલેલા આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશના 12 રાજ્યો અને 24 શહેરોમાંથી 75 વિદ્યાર્થી અન્વેષકો સાથે શિક્ષકો, સંશોધકો અને માર્ગદર્શકોએ ભાગ લીધો હતો.

સમાપન સમારોહમાં ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણ હવે માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું મર્યાદિત નથી.

શાળાઓએ હવે વિચારો અને ઉકેલોના ઇન્ક્યુબેટર બનવાની જરૂર છે. તેમણે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે સંશોધન હવે યુનિવર્સિટીઓ પહેલા શાળા કક્ષાએથી જ શરૂ થઈ રહ્યું છે.

અદાણી સમૂહના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી નમ્રતા અદાણીએ જણાવ્યું હતું કે, આ મેળો વિદ્યાર્થીઓને વાસ્તવિક દુનિયાના પડકારો પર સવાલો કરવાની મોકળાશ આપે છે. IRIS દ્વારા વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાન મેળવતા નથી, પણ તેનો વાસ્તવિક ઉપયોગ કરતા શીખે છે.

આ મેળો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન અને ઇજનેરી મેળા (ISEF) 2026 માટેનું ક્વોલિફાઇંગ પ્લેટફોર્મ પણ છે. સ્પર્ધાના અંતે 15 પ્રોજેક્ટ્સને સુવર્ણ અને 10 પ્રોજેક્ટ્સને રજત પદક એનાયત કરવામાં આવ્યા હતા. સુવર્ણ પદક વિજેતાઓ હવે વિશ્વ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેના અંતિમ રાઉન્ડમાં ભાગ લેશે. આ આયોજન દ્વારા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે સાબિત કર્યું છે કે તે માત્ર શિક્ષણ કેન્દ્ર નથી, પરંતુ સર્વાંગી વિકાસ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવતી એક પ્રતિષ્ઠિત સંસ્થા છે.