
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 200 કરોડના ખર્ચે ભુજમાં નવા રેલવે સ્ટેશનની કામગીરી પ્રગતિમાં છે. જેમાં 75 ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. નવું સ્ટેશન આધુનિકતા અને કચ્છની પારંપરિક વાસ્તુકલાનું સુંદર મિશ્રણ હશે.

ભુજ સ્ટેશન યાર્ડમાં બે નવી પીટ લાઈનો બનાવવામાં આવી છે. જેમાં ટ્રેન સંચાલન અને મેન્ટેનેન્સની ક્ષમતામાં વધારો થશે. ભુજ નલિયા મીટર ગેજ લાઈનને બ્રોડ ગેજ લાઈનમાં પરિવર્તિત કર્યા બાદ 28 ઓક્ટોબર 2024ના રોજ વડાપ્રધાન મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું.

આ રેલવે સ્ટેશનમાં 1.37 લાખ વર્ગ ફૂટમાં મુખ્ય સ્ટેશન ભવન અને 11600 વર્ગ ફૂટમાં અન્ય પ્રવેશ ભવન હશે. 35000 વર્ગફૂટ વિશાળ કાંકર્સ અને 8000 વર્ગફૂટમાં આધુનિક વેઈટિંગ એરિયા હશે.

ત્રણ ફૂટ ઓવરબ્રિજ, 13 લિફ્ટ અને 10 એક્સેલેટર, સીસીટીવી તેમજ વાઈફાઈની સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત 500 KWP સૌર યંત્ર, વરસાદી પાણીનું સંચયન અને પર્યાવરણને અનુકુળ ડિઝાઈન હશે.

એપ્રિલ 2026 સુધીમાં સ્ટેશનનું કામ પૂર્ણ થશે. હાલમાં આ સ્ટેશનનું 75 ટકાથી વધુ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સ્ટેશન કચ્છના પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસમાં નવી ઊર્જાનો સંચાર કરશે.