
CM ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના ગુજરાત મંત્રીમંડળમાં અનુભવી અને નવા બંને ચહેરાઓનો સમન્વય જોવા મળે છે. કનુભાઇ દેસાઇને નાણાં અને ઋષિકેશ પટેલને આરોગ્ય જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે, જ્યારે રાઘવજી પટેલ અને કુંવરજી બાવળિયા જેવા પક્ષ બદલીને આવેલા અગ્રણી નેતાઓને પણ કૃષિ અને જળસંપત્તિ જેવા મુખ્ય વિભાગો મળ્યા છે. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાયનું મહત્વનું ખાતું સંભાળે છે, જે દર્શાવે છે કે સરકાર અનુભવ, સામાજિક સંતુલન અને વહીવટી ક્ષમતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીનો પ્રારંભ અમદાવાદમાં મ્યુનિસિપલ સ્તરે થયો હતો. તેઓ 1995-96 માં મેમનગર નગરપાલિકાના સભ્ય બન્યા અને 1999-2000 માં તેના પ્રમુખ તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન (2008-2010) અને થલતેજ વોર્ડના કાઉન્સિલર (2010-2015) રહ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ AMC ની સ્થાયી સમિતિના ચેરમેન પણ હતા. 2015 માં તેમને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના ચેરમેન બનાવવામાં આવ્યા. તેઓ 2017 માં ઘાટલોડિયા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 13 સપ્ટેમ્બર, 2021 ના રોજ તેમણે પ્રથમ વખત ગુજરાતના CM તરીકે શપથ લીધા અને 2022 ની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક વિજય મળ્યા બાદ બીજી વખત CM બન્યા.

ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાની વિસનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેઓ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે અને ગુજરાત વિધાનસભામાં સતત ચૂંટાતા આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલના અગાઉના મંત્રીમંડળમાં પણ તેઓ કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે, જ્યાં તેમને આરોગ્ય, તબીબી શિક્ષણ અને જળસંપત્તિ જેવા મહત્વના વિભાગોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ પક્ષ અને સંગઠનમાં વિવિધ સ્તરે મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.

કનુભાઈ દેસાઈ દક્ષિણ ગુજરાતની પારડી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 7 વર્ષ સુધી સંગઠનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સૌ પ્રથમ 2012માં પારડી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ 2017 અને 2022 માં પણ આ બેઠક પરથી સતત જીત મેળવી છે. સંગઠનાત્મક અનુભવ અને વહીવટી સૂઝને કારણે તેમને સીધા જ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું હતું. તેઓ ભૂપેન્દ્ર પટેલના બંને મંત્રીમંડળમાં નાણાં વિભાગનું મહત્વનું પદ સંભાળી રહ્યા છે.

રાઘવજી પટેલની રાજકીય કારકિર્દી લાંબી અને વિવિધ પક્ષો સાથે જોડાયેલી રહી છે. તેઓ જામનગર (ગ્રામ્ય) બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે પોતાની રાજકીય સફર કોંગ્રેસમાંથી શરૂ કરી હતી અને અનેક વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ 1990ના દાયકાથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, જેમાં તેમણે જુદી જુદી વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે. 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો સારો પ્રભાવ છે, જેના કારણે તેમને કૃષિ અને ગ્રામ વિકાસ સંબંધિત મહત્વના વિભાગો સોંપવામાં આવ્યા છે.

બળવંતસિંહ રાજપૂત ઉત્તર ગુજરાતની સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય છે. તેઓ પણ અગાઉ કોંગ્રેસના અગ્રણી નેતા હતા અને વિધાનસભામાં પક્ષના દંડક પદ સુધી પહોંચ્યા હતા. તેમની રાજકીય કારકિર્દી 1980ના દાયકામાં શરૂ થઈ, જ્યાં તેઓ કોંગ્રેસમાં યુવા પ્રમુખ અને સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર અને પ્રમુખ પણ બન્યા હતા. 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. 2022 ની વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ તેમને પ્રથમવાર કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે અને ઉદ્યોગ જેવા મહત્વપૂર્ણ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે.

કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રના જસદણ બેઠકના ધારાસભ્ય અને કોળી સમાજના પ્રભાવશાળી નેતા છે. તેઓ વ્યવસાયે શિક્ષક હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પક્ષમાંથી શરૂ કરી અને 1995, 1998, 2002, 2007 અને 2012 માં સતત પાંચ વખત જસદણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. 2018 માં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કર્યો અને તરત જ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. ભાજપમાં જોડાયા બાદ તેઓ જળસંપત્તિ અને પાણી પુરવઠા જેવા વિભાગોનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.

મુળુભાઇ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તેમનો પ્રભાવ છે. તેઓ મંત્રીમંડળમાં નવા ચહેરા તરીકે સામેલ થયા છે. તેમને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ જેવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. જાહેર જીવનમાં તેઓ સમાજસેવા અને સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય રહ્યા છે.

ડો. કુબેર ડિંડોર મહીસાગર જિલ્લાની સંતરામપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેઓ શિક્ષિત અને આદિવાસી નેતા છે. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ વ્યવસાયે પ્રોફેસર હતા અને કોલેજમાં શિક્ષણ આપતા હતા. કોલેજકાળથી જ તેઓ સમાજ સેવા અને આદિવાસી સમાજના ઉત્થાનના કાર્યો સાથે જોડાયેલા રહ્યા છે. 2022ની ચૂંટણી જીત્યા બાદ તેમને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને આદિજાતિ વિકાસ તેમજ શિક્ષણ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાનુબેન બાબરિયા રાજકોટ (ગ્રામ્ય) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મહિલા ધારાસભ્ય છે. તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ ચૂંટાયેલા છે. તેમનો પરિવાર જનસંઘના સમયથી રાજકારણ સાથે સંકળાયેલો છે. તેઓ 2017માં પ્રથમ વખત રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા અને 2022માં ફરીથી ચૂંટાયા. પક્ષના સંગઠનમાં પણ તેઓ સક્રિય છે અને અખિલ ભારતીય શેડયુલ કાસ્ટ મોરચાના રાષ્ટ્રીય મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા કેબિનેટ મંત્રી તરીકે સામાજિક ન્યાય અને મહિલા બાળ કલ્યાણના મહત્વના વિભાગો સંભાળે છે.