
ગુજરાતમાં ચોમાસામાં થયેલા ભારે વરસાદ અને ત્યાર બાદ વરસેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવીને 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. બીજી તરફ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. આ ઉપરાંત જે ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાની જણસી વેચવા જઈ રહ્યાં છે તેમને ભાવ નહીં મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડૂતોએ વરસાદ બંધ થતાં જ માર્કેટ યાર્ડમાં પોતાની મગફળીનો પાક વેચવા માટે લાઈનો લગાવી છે. મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સોરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. ત્યારે રાજકોટના બેડી યાર્ડમાં પણ અસંખ્ય ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યાં છે. તેમણે મગફળીના યોગ્ય ભાવ નહીં મળતા હોવાનો આક્ષેપ કર્યો છે.

હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીનો પ્રતિ મણ 900થી 1200 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. આ ભાવમાં તેમનો ખર્ચો પણ નીકળી શકે એમ નથી એવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ભાવમાં મજૂરી અને વાહન ખર્ચ પણ નીકળી શકે તેમ નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે

માર્કેટ યાર્ડમાં હાલમાં વેચાણ માટે આવી રહેલી મગફળીનો જથ્થો વરસાદમાં પલળી ગયા બાદ તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે. ત્યારે ખેડૂતો પણ તેની ગુણવત્તા સારી હોવાનું કહી વેપારીઓને મનાવી રહ્યાં છે.

ખેડૂતોને મગફળીનો પ્રતિ મણ 1400થી 1500 રૂપિયા સુધીનો ભાવ મળવો જોઈએ તેવી માગ કરવામાં આવી છે. સરકાર પાસે ખેડૂતોએ પૂરતા ભાવ આપવામાં આવે તેવી માગ કરી છે.