
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા આજે શહેરના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વ્યાપક ડિમોલિશન ઓપરેશન જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું છે.

આજી નદીના કાંઠે અને ટી.પી. રોડ પર દાયકાઓથી ખડકાયેલા 1,498 ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.

આ કામગીરી દ્વારા અંદાજે 80,000 ચોરસ મીટર જેટલી કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવશે.

ઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 1,500થી વધુ પોલીસ જવાનો, SRPની ટુકડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો લોખંડી કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દબાણો હટાવવા માટે 64 જેસીબી (JCB), 90થી વધુ ટ્રેક્ટર અને હજારો મજૂરોની ટીમ કામે લગાડવામાં આવી છે.

આજી નદીના શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને 15 મીટરના ટી.પી. રોડના અમલીકરણ માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય હતા. આ કામગીરીથી ચોમાસા દરમિયાન નદીના પટમાં ભરાતા પાણી અને પૂરની સમસ્યામાં પણ મોટી રાહત મળશે.

તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી પણ સાથોસાથ ચાલુ રાખવામાં આવી છે અને સાંજ સુધીમાં મોટાભાગના નડતરરૂપ દબાણો તોડી પાડવાનો લક્ષ્યાંક છે.