
ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા 4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જગતના તાત ગણાતા ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન પશુપાલકો માટે ગુજરાત સરકારે વર્ષ 2026-27ના ગુજરાત બજેટમાં આર્થિક સહાયનો ધોધ વહાવ્યો છે. બજેટમાં કૃષિ ક્ષેત્રમાં મોટી સહાયની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

વિધાનસભામાં નાણામંત્રી કનુદેસાઈ દ્વારા વર્ષ 2026-2027 માટે બજેટ રજૂ કરાયું. બજેટને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં કોઈ નવા કરવેરા નાંખવામાં આવ્યા નથી. કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, મહિલા અને શ્રમિક સહિત સમાજના દરેક વર્ગનું બજેટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે.

બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂપિયા 24,022 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ, વીજ સહાય અને પશુ સારવાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા અને આધુનિક યંત્રોના ઉપયોગને વેગ આપવા પ્રયાસ કરાયો.

ખેડૂતોને રાહત દરે વીજળી પૂરી પાડવા રૂપિયા 9,324 કરોડની જંગી જોગવાઈ. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂપિયા 800 કરોડ અને અન્ય કૃષિ ઓજારો માટે રૂપિયા 765 કરોડની જોગવાઈ, નાના ગોડાઉન બનાવવા માટે 15,436 ખેડૂતોને રૂપિયા 1 લાખની સહાય અપાશે.

ખેડૂતના અકસ્માત મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં રૂપિયા 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવા રૂપિયા 146 કરોડની જોગવાઈ, અદ્યતન ખેતી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા રૂપિયા 77 કરોડની જોગવાઈ, ગૌમાતા પોષણ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ" યોજના હેઠળ ગૌશાળાઓ માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ, નિ:શુલ્ક પશુ સારવાર અને ફરતા પશુ દવાખાના માટે કુલ રૂપિયા 108 કરોડની જોગવાઈ તેમજ પાડી-વાછરડી ઉછેર અને બકરા-મરઘા પાલન એકમો માટે કરોડોની સહાય કરાશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માવઠાનો માર સહન કરી રહ્યા છે, કુદરતી આપદા સામે ખેડૂતો લાચાર છે ત્યારે સરકાર દ્વારા તેમને સહાય કરી આર્થિક નુકસાનીનો ભાર હળવો કરવા પ્રયાસ કરાયો છે.