
અમદાવાદનું ગુજરી બજાર એટલે સસ્તાઈ, વિવિધતા અને ઇતિહાસનો અનોખો સંગમ. 600 વર્ષથી ધમધમતું આ રવિવારી બજાર આજે સાબરમતી રિવરફ્રન્ટ પર ભરાય છે, જ્યાં ઘરવખરીથી લઈ એન્ટિક વસ્તુઓ સુધી બધું મળે છે. અહીંની ખરીદી માત્ર સોદો નહીં, પરંતુ અમદાવાદની જીવંત સંસ્કૃતિનો અનુભવ છે

અમદાવાદમાં અનેક બજારો છે, પરંતુ એક એવું બજાર છે જેને લોકો “જાદુનો પટારો” કહે છે. અહીં તમને રોજિંદી જરૂરિયાતથી લઈને દુર્લભ અને એન્ટિક વસ્તુઓ સુધી બધું જ સસ્તા ભાવમાં મળી જાય છે, અને એ પણ 600 વર્ષના જીવંત ઇતિહાસ સાથે.

આ બજારનું નામ છે ગુજરી બજાર, જેને સામાન્ય રીતે રવિવારી બજાર તરીકે ઓળખવામાં આવે છે. દર રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ પર, એલિસબ્રિજ પાસે આ બજાર ભરાય છે. વહેલી સવારથી જ અહીં લોકોની ભીડ ઉમટી પડે છે – કોઈ ખરીદી માટે, તો કોઈ ફક્ત ફરવા અને જુની વસ્તુઓ જોવા માટે

ગુજરી બજારનો ઇતિહાસ 1414 સુધી જાય છે, જ્યારે અહમદશાહ બાદશાહએ અમદાવાદ શહેર વસાવ્યું. તે સમય દરમિયાન આજુબાજુના ગામડાંમાં નિયમિત બજારો ન હોવાથી, ગામડાં તેમજ દૂર દૂરના પ્રદેશોના લોકો ખરીદી માટે ગુજરી બજારમાં આવતા. દેશ-વિદેશના વેપારીઓ પણ અહીં પોતાનો માલ વેચવા આવતા, જેથી આ બજાર ઝડપથી લોકપ્રિય બન્યું.

શરૂઆતમાં આ બજાર ભદ્રથી ત્રણ દરવાજા સુધી અઠવાડિયામાં માત્ર એક જ દિવસ, એટલે કે શુક્રવારે ભરાતું. સમય અને પરિસ્થિતિ બદલાતા બજારની જગ્યાઓ પણ બદલાઈ. 1941ના રમખાણો બાદ બજાર લગભગ બંધ થવાની કગારે પહોંચી ગયું હતું, પરંતુ પછી ફરીથી અલગ-અલગ જગ્યાએ શરૂ થયું અને અંતે 14 ફેબ્રુઆરી 2014થી રિવરફ્રન્ટ પર સ્થાયી થયું.

પહેલાના સમયમાં ગુજરી બજારમાં ગાય, ભેંસ, ઘોડા જેવી પશુઓથી લઈને ઘરવખરીનો તમામ સામાન વેચાતો. આજે પણ બજારની વિવિધતા અદ્દભુત છે. અહીં એન્ટિક વસ્તુઓ, ઘડિયાળ, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી, કપડાં, બેગ, પગરખાં, ક્રોકરી, ફર્નિચર, જીમના સાધનો, જૂના ચલણી સિક્કા અને સજાવટની વસ્તુઓ સરળતાથી મળી જાય છે.

આજના મોલ કલ્ચરના યુગમાં પણ ગુજરી બજાર પોતાની અલગ ઓળખ જાળવી રાખે છે. અહીં 100 રૂપિયાથી લઈને લાખો રૂપિયા સુધીની વસ્તુઓ મળે છે અને થોડી વાટાઘાટ કરો તો સારો સોદો થઈ જાય. ગુજરી બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી, પરંતુ અમદાવાદની સંસ્કૃતિ, ઇતિહાસ અને જીવંત પરંપરાનો અનુભવ કરાવતું અનોખું સ્થળ છે.