
દિવાળી એ પ્રકાશનું પર્વ છે. દિવાળીની ઉજવણીને લઈને લોકો તડામાર તૈયારી કરી રહ્યા છે. દિવાળી ભારતનો પારંપરિક તહેવાર છે. આ તહેવારમાં શાળાઓ અને ઓફિસમાં વધુ રજા હોય છે. કહી શકાય કે આખા વર્ષમાં દિવાળી વેકેશનનો સમય વધુ લાંબો હોય છે. અને એટલે જ આજે લોકો વ્યસ્ત જીવનશૈલીના કારણે દિવાળીમાં પરીવાર સાથે બહાર ફરવાનો પ્લાન કરતા હોય છે. જો તમે પણ દિવાળીની રજામાં ફરવાનો પ્લાન કરતા હોય તો ભારતના આ બેસ્ટ ડેસ્ટીનેશન વિશે અવશ્ય જાણો. દિવાળીમાં આ સ્થાનની મુલાકાત તમારા જીવનનો એક યાદગાર અનુભવ બની રહેશે.

પરીવારમાં કોઈ વડીલ હોય અને તેમની સાથે દિવાળીને ઉજવણી કરવી હોય તો મથુરા અને વૃદાંવન બેસ્ટ છે. મથુરા અને વૃંદાવનમાં દિવાળીમાં તમે આધ્યાત્મિક સાથે તહેવારના પર્વનો આનંદ લઈ શકશો. ભગવાન કૃષ્ણ અને રાધાના મંદિરોમાં ભવ્ય આરતીઓ અને સજાવટ સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. મંદિરોમાં દીવાઓ, ભજન અને કીર્તનોનો પ્રકાશ અને પ્રસાદનું વિતરણ ભક્તિમય વાતાવરણ બનાવે છે.

જયપુરની દિવાળી એક શાહી દિવાળી કહેવાય છે. જયપુરમાં આવેલા દરેક પેલેસ આ દિવસોમાં અદ્ભૂત રીતે સજાવવામાં આવે છે. ગુલાબી નગરી તરીકે જાણીતા જયપુરમાં હવેલીઓ અને બજારો રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. જોહરી બજાર અને હવા મહેલની આસપાસ ઝળહળતી રોશનીનો નજારો આ દિવસોમાં વધુ જોવાલાયક છે.

ગુજરાતમાં દિવાળીની રજામાં તમે અમદાવાદમાં સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, અક્ષરધામ મંદિર, વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ, ભરૂચમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રકૃતિ પ્રેમીઓ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહોનું નિવાસસ્થાન, ભગવાન કૃષ્ણને સમર્પિત દ્વારકા મંદિર, અને મીની સ્વીટર્ઝલેન્ડ કહેવાતું ડાંગમાં આવેલ સાપુતારા, કચ્છનું સફેદ રણ ફેવરીટ સ્થાનોની મુલાકાત લઈ શકો છો.

દિવાળીની રજામાં તમે અયોધ્યા નગરીની જરૂર મુલાકાત લો. અયોધ્યામાં દિવાળીનું વિશેષ મહત્વ છે, કારણ કે તે ભગવાન રામનું જન્મસ્થળ છે. દર વર્ષે લાખો દીવાઓ રામ કી પૈડી અને સરયુ નદીના કિનારાઓને પ્રકાશિત કરે છે. રંગબેરંગી ઝાંખીઓ, રામલીલા અને ફટાકડા આ દિવાળીને અવિસ્મરણીય બનાવે છે

વારાણસી શહેર દિવાળી દરમિયાન એક દુલ્હન જેવું લાગે છે. તેના રસ્તાઓ પર ચમકતી લાઈટો અને ઘાટનો નજારો અદ્ભૂત દેખાય છે. ખાસ કરીને દેવ દિવાળી દરમિયાન, ગંગા કિનારા લાખો દીવાઓથી ઝળહળી ઉઠે છે. ગંગા આરતી, ફટાકડા અને ઘાટ પર સજાવટનો દિવ્ય નજારો ખરેખર મંત્રમુગ્ધ કરી દે છે.

દિવાળી પર અમૃતસરનું સુવર્ણ મંદિર દીવાઓ અને રોશનીથી ઝગમગતું હોય છે, જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય. ગુરુ નાનક જયંતિ પણ નજીકમાં આવે છે, જે આખા શહેરમાં એક અદ્ભુત ઉત્સાહનો અનુભવ લાવે છે. મંદિરના તળાવમાં સળગતા દીવાઓનું પ્રતિબિંબ મનમાં શાંતિ અને શાંતિ લાવે છે.