
મે મહિનામાં, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયામાં જ ક્રૂડ ઓઇલના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો છે. આગામી દિવસોમાં વધારાના પુરવઠાની અપેક્ષા છે. જો કે હા તેલના ભાવ હજુ સુધી યુદ્ધ પહેલાના સ્તરે પાછા ફર્યા નથી. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે બજાર તે દિશામાં આગળ વધી રહ્યું છે. તેવામાં પેટ્રોલ ડીઝલ પર જે વધારો થયો તે શું પાછો લેવામાં આવશે ખરા ? આવો જાણીએ.

અમેરિકા અને ઇરાન વચ્ચે શાંતિ કરાર થતા હવે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખૂલી જતા હવે ઓઇલ સંકટની જે સ્થિતિ હતી તે સુધારા પર આવી રહી છે. છેલ્લા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.જેનાથી ભારત સહિત વિશ્વના દેશોમાં રાહતની લાગણી વ્યાપી છે.

એવો અંદાજ છે કે આગામી વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $60 થી $65 ની વચ્ચે સ્થિર થઈ શકે છે. ત્યારે સવાલ એ થાય કે શું પેટ્રોલ ડીઝલના ભાવ હવે ઘટશે. શું હવે જનતાને ભાવવધારામાંથી રાહત મળશે ? અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં એક ટકાથી ઓછો વધારો જોવા મળ્યો હોવા છતા અઠવાડિયાના એકંદર વલણમાં આશરે 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ (ગલ્ફ દેશોમાંથી) પ્રતિ બેરલ $80.57 પર બંધ થયું, જેમાં એક ટકાથી ઓછો ઘટાડો જોવા મળ્યો, જ્યારે યુએસ ક્રૂડના ભાવ લગભગ 1.25 ટકા વધીને $77.54 પ્રતિ બેરલ પર પહોંચ્યા.

અઠવાડિયા દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો મુખ્યત્વે ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધવિરામ કરારને કારણે થયો હતો. ઇરાન અને યુએસ વચ્ચેનો સોદો પણ આ સ્થિતિમાં મુખ્ય બીજુ પરિબળ છે. જો આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે શાંતિ જળવાઈ રહે તેમાં પણ ખાસ કરીને મધ્ય પૂર્વમાંઅને ઈરાની તેલ બજારમાં પ્રવેશ કરે તો ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે ? 1 જૂનથી, ક્રૂડ ઓઇલના ભાવમાં 15 ટકાથી વધુનો ઘટાડો થયો છે. આનો અર્થ એ થાય કે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ $14.41 નો ઘટાડો થયો છે. તેનાથી વિપરીત, ભારતમાં મે દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો વધારો 25 મેના રોજ થયો હતો.

નિષ્ણાતોના મતે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ખરેખર ઘટાડો થયો છે, ત્યારે પેટ્રોલિયમ કંપનીઓ હજુ સુધી તેમના નુકસાનની ભરપાઈ કરી શકી નથી. ક્રૂડ ઓઇલના ભાવમાં અગાઉ થયેલા વધારાને કારણે આ કંપનીઓને દૈનિક ₹1,000 કરોડથી ₹1,500 કરોડનું નુકસાન થઈ રહ્યું હતું. એવો અંદાજ હતો કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ લગભગ $80 સુધી ન જાય ત્યાં સુધી આ નુકસાન ઘટશે નહીં. આ ભાવ સ્તર સુધી પહોંચવાથી પેટ્રોલિયમ કંપનીઓ બ્રેક-ઇવન પોઈન્ટ (કોઈ નફો નહીં, કોઈ નુકસાન નહીં) પર આવી જશે. જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $75 ના સ્તરે ઘટી જાય, તો પેટ્રોલિયમ કંપનીઓ નફો કમાવવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે.