
ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો, પરિવારો અને યુવાનો ઉમંગભેર જોડાયા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો છે.

મહોત્સવ દરમિયાન ભવ્ય પાલખી ઉત્સવ યોજાયો જેમાં સુંદર રીતે શણગારેલ દેવતાઓના દર્શન થયા. પંચામૃત અને વિવિધ ફળોના રસથી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મહાભિષેક કરવામાં આવ્યો. દરેક કેન્દ્રમાં હરિનામ સંકીર્તન, ભક્તિ સંગીત અને મૃદંગના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું.

મહાઆરતી અને પ્રેરણાદાયી હરિકથા સાથે ફૂલોન કી હોળીનો વિશેષ આનંદ મનાવવામાં આવ્યો, જેમાં સુગંધિત ફૂલોની વર્ષા સાથે ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો. અંતે સર્વે ભક્તોને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો. આ અવસરે ભક્તોએ એકસાથે ભગવાન શ્રીકૃષ્ણના પવિત્ર નામોનું સંકીર્તન કર્યું અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી.

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજની શરૂઆત 2007માં એક નાના ભાડાના કેન્દ્રથી અને થોડા ભક્તો સાથે થઈ હતી. વર્ષો દરમિયાન સમર્પણ, સમાજના સહયોગ અને ભગવાનની કૃપાથી આજે આ મંદિર ભવ્ય સ્વરૂપ ધારણ કરી હજારો લોકોને આધ્યાત્મિક લાભ આપી રહ્યું છે.

આજ ઇસ્કોન ભાડજ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ ખાતે હરે કૃષ્ણ સેન્ટરો દ્વારા પોતાના કાર્યનો વિસ્તાર કરી રહ્યું છે. આ કેન્દ્રોમાં દર અઠવાડિયે સત્સંગ, હરિનામ સંકીર્તન, ભગવદ ગીતા ચર્ચા, યુવા પ્રવૃત્તિઓ અને મહાપ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક સમાજને લાભ મળી રહ્યો છે. તાજેતરમાં ઉજવાયેલ શ્રી ચૈતન્ય મહોત્સવ આ સતત સેવા પ્રવાહનો મહત્વપૂર્ણ ભાગ છે.

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજના અધ્યક્ષ શ્રી જગનમોહન કૃષ્ણ દાસજીએ જણાવ્યું કે, 2007માં એક નાના ભાડાના કેન્દ્રથી શરૂ થયેલો આ પ્રયાસ આજે વિકસતો આધ્યાત્મિક પ્રવાહ બની ગયો છે. વિવિધ કેન્દ્રોમાં શ્રી ચૈતન્ય મહોત્સવની સફળ ઉજવણી ભક્તો અને સેવકોની સમર્પિત ભાવનાનો પરિચય આપે છે. નિયમિત સત્સંગ અને સેવાકાર્ય દ્વારા અમે શ્રી ચૈતન્ય મહાપ્રભુનો હરિનામ સંકીર્તનનો સંદેશ ઘરઘર પહોંચાડવા પ્રયત્નશીલ છીએ.