
નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. નવરાત્રિના 9 દિવસ માતાના વિવિધ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ગુજરાતમાં માતાજીના અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે. રાજયમાં વિવિધ સ્થાન પર આવેલ માતાજીના મંદિરને લઈને તેની સાથે ખાસ રહસ્ય પણ જોડાયેલું છે. નવરાત્રિના દિવસોમાં અને ખાસ તિથિ પર માતાજીના આ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ રહે છે. આવો જાણીએ ગુજરાતના પ્રસિદ્ધ માતાજીના મંદિરો.

રાજકોટના ચોટીલામાં આવ્યું છે ચામુંડામાંનું મંદિર. આ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સમુદ્રની 1173 ફૂટની ઊંચાઈ પર માતા ચામુડા બિરાજમાન છે. આ મંદિરને લઈને ધાર્મિક માન્યતા છે કે ચંડ અને મુંડ નામના અસુરોના અત્યાચારથી ત્રસ્ત દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ માતા કાળીએ બંને રાક્ષસોનો વધ કર્યો હતો. ત્યારથી તેમનું નામ ચામુંડા પડ્યું અને આ ડુંગર તેમનું નિવાસ સ્થાન બન્યો. દર મહિનાની અમાસ અને નવરાત્રિમાં ભક્તો દૂરદૂરથી માતાના દર્શન કરવા આવે છે.

મહેસાણામાં આવેલ બહુચરાજી મંદિર શક્તિપીઠ તરીકે પ્રખ્યાત છે. આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે, વિસાયંત્રને પૂજા વિધિ કરીને મંદિરમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે. બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો, હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનુ નામ બહુચરાજી પડ્યું છે. ફક્ત એક ચપટી મીઠુંનું બાધાથી પણ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિ અને ચૈત્રી પૂનમે માતાના દર્શનનું ખાસ મહત્વ છે. ચૈત્રીપૂનમે બહુચરાજીમાં મોટો મેળો ભરાય છે

દેવીના 52 શક્તિપીઠમાંનું એક છે પાવાગઢ મહાકાળી મંદિર. એવું કહેવાય છે કે દેવી સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડ્યો હતો. પાવાગઢ ટેકરી પર ઊંચે આવેલા મંદિર સુધી પહોંચવા માટે યાત્રાળુઓને રોપ-વેની સુવિધા પણ છે, તેમજ શ્રદ્ધાળુઓ પગથિયા દ્વારા ચઢાણ કરી માતાના દર્શનના લાભ લે છે. ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યો માંથી પણ આવતા ભક્તો વિશેષ આસ્થા સાથેમાં મહાકાળીના દર્શને આવે છે.

કચ્છમાં આવેલ માતાનો મઢ એક પ્રખ્યાત ધાર્મિક સ્થાન છે. માતાના મઢમાં મા આશાપુરા બિરાજમાન છે. કચ્છના સરહદી વિસ્તાર એવા લખપત તાલુકામાં આવેલ આ મંદિરમાં માં આશાપુરાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાની માન્યતા છે. કચ્છની દેશદેવી કહેવાય છે મા આશાપુરા. માતાના મઢમાં આવેલી માતાની મૂર્તિ 7 ફૂટ ઊંચી છે અને તે અર્ધ શરીર છે અને મૂર્તિને 7 આંખો છે.

મહેસાણા જિલ્લામાં ઉંઝા શહેરમાં સ્થિત ઉમિયા મંદિરની ગુજરાતના લોકપ્રિય મંદિરમાં ગણના થાય છે. પાટીદારો માટે શ્રદ્ધા તથા આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે ‘ઊંઝા ઉમિયા માતાજી’ મંદિર. ઉદ્યોગપતિઓ અને ખેડૂતોના દાનથી આ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. 'ઉમિયા' નામ દેવી પાર્વતીના એક સ્વરૂપ સાથે જોડાયેલું છે. દરવર્ષે ભાદરવી પૂનમે આ મંદિરે મોટો મેળો ભરાય છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવ્યુ છે અંબાજી મંદિર. અંબાજી નામ "અંબા" માંથી આવ્યું છે. આ મંદિર આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. ધાર્મિક માન્યતા છે કે માતા સતીનું હૃદય આ આરાસુર પહાડ પર પડ્યું હતું. એટલે જ આ સ્થાન આધ્યાત્મિક ઉર્જાનું સ્થાન મનાય છે. મંદિરમાં ગુપ્ત રીતે સ્થાપિત મંદિરમાં વિશ્વશક્તિ યંત્રની પૂજા થાય છે. આ મંદિરમાં નવરાત્રિ અને પૂનમના દિવસે ભક્તો ભારે ભીડ રહે છે.