
યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અરવિંદ કુમાર શુક્લાના જણાવ્યા અનુસાર, આ ટેકનિક ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે એક એકરમાં ખેતી માટે 8-10 ક્વિન્ટલ બીજ સામે 100 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે.

પરંપરાગત ખેતીના દિવસો હવે બદલાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકોએ એક એવી પદ્ધતિ વિકસાવી છે જેમાં બટાકા ઉગાડવા માટે માટીની બિલકુલ જરૂર નથી. ‘એરોપોનિક્સ’ (Aeroponics) નામની આ ટેકનિકથી હવે હવામાં બટાકા લહેરાશે, જે ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત બનશે.

આ પદ્ધતિમાં છોડને જમીનમાં રોપવાને બદલે થર્મોકોલની ખાસ શીટ્સમાં છિદ્રો પાડીને હવામાં લટકાવવામાં આવે છે. છોડના પાંદડા ઉપર સૂર્યપ્રકાશ તરફ રહે છે, જ્યારે તેની જડો નીચેના અંધારિયા બોક્સમાં લટકતી રહે છે. કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત મશીનો દર થોડી મિનિટે આ જડો પર પાણી અને જરૂરી પોષક તત્ત્વોની ઝાકળ (Mist) છાંટે છે. આનાથી છોડને સીધું પોષણ મળે છે અને માટી ન હોવાથી ફંગલ ઇન્ફેક્શન કે માટીથી થતા રોગોનો ભય રહેતો નથી

યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અરવિંદ કુમાર શુક્લાના જણાવ્યા અનુસાર, આ ટેકનિક ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે એક એકરમાં ખેતી માટે 8-10 ક્વિન્ટલ બીજ સામે 100 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે. તેની સામે એરોપોનિક્સ ટેકનિકથી તૈયાર કરેલા બીજની ગુણવત્તા એટલી શ્રેષ્ઠ છે કે માત્ર 1.20 ક્વિન્ટલ બીજ વાપરવાથી 238 ક્વિન્ટલ જેટલું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે. આમ, ખેડૂતોનો બિયારણનો ખર્ચ ઘટશે અને આવક બમણી થશે.

વૈજ્ઞાનિકો હાલમાં મુખ્યત્વે ‘લેડી રોઝેટા’ જાતિના બટાકા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ બટાકા લાલ અને સંપૂર્ણ ગોળ હોય છે, જે મશીન પ્રોસેસિંગ માટે ઉત્તમ છે. તેમાં શુગરનું પ્રમાણ ઓછું હોવાથી તેની ચિપ્સ સોનેરી અને ક્રિસ્પી બને છે, જેની બજારમાં અને મોટી કંપનીઓમાં ખૂબ માંગ છે.

આગામી બે-ત્રણ વર્ષમાં આ ટેકનિકથી તૈયાર કરેલા બીજ મધ્ય પ્રદેશના ખેડૂતોને ઉપલબ્ધ થશે. અત્યાર સુધી પંજાબ અને ગુજરાતના ખેડૂતો આ ટેકનિકનો લાભ લેતા હતા, પરંતુ હવે સ્થાનિક સ્તરે આ સુવિધા મળતા ખેડૂતો સીધો મોટી ચિપ્સ કંપનીઓ સાથે સોદો કરી શકશે અને વચેટિયાઓથી મુક્તિ મેળવશે.