
રોહિત શર્મા વડોદરામાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં એક્શનમાં જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની સીરિઝની પહેલી વનડે મેચ રવિવારે રમાશે. 11 જાન્યુઆરીએ બીસીએ સ્ટેડિયમમાં રમાનાર પહેલી વનડેની તૈયારીમાં જોડાયેલા રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે હાલમાં જ સાઉથ આફ્રિકા સામે ઘરેલું વનડે સીરિઝમાં શાનદાર ઇનિંગ રમી હતી. ત્યાર બાદ વિજય હજારે ટ્રોફીમાં પણ મુંબઈ માટે રમ્યો હતો અને શાનદાર પ્રદર્શન કર્યું. રોહિત ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 5 મોટા રેકોર્ડ બનાવી શકે છે. આ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 650 છગ્ગાથી માત્ર બે સિક્સ દૂર છે.

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે સીરિઝમાં જો એક સદી ફટકારવામાં સફળ થાય છે, તો તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 49 સદી ફટકારી છે. જેમાં વનડે, ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલ સદી સામેલ છે. રોહિત અને સચિને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 45 સદી ફટકારી છે. પરંતુ રોહિત પાસે વડોદરામાં સચિનથી આગળ નીકળવાની તક છે.

રોહિત શર્મા એક સદી ફટકારતા જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર દુનિયાનો બીજો જ્યારે ભારતનો પહેલો ઓપનર બની જશે. દુનિયામાં હિટમેનના નામથી જાણીતો રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 648 છગ્ગા ફટકારી ચૂક્યો છે. જો તે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં બે છગ્ગા ફટકારે તો તેની સિક્સની સંખ્યા 650 પર પહોંચી જશે. રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 650 છગ્ગા ફટકારનાર પહેલો બેટ્સમેન બની જશે.

રોહિત શર્મા વડોદરામાં રમાનાર પહેલી વનડેમાં બે છગ્ગા ફટકારવામાં સફળ રહે તો, તે ઓપનર તરીકે વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની જશે. રોહિત ઓપનર તરીકે વનડેમાં 327 છગ્ગા ફટકારી ચૂક્યો છે, જ્યારે ક્રિસ ગેલના નામે ઓપનર તરીકે વનડેમાં સૌથી વધુ 328 છગ્ગા નોંધાયેલા છે.

રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે સીરિઝમાં દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ અને પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંજમામ ઉલ હકનો રેકોર્ડ તોડી શકે છે. રોહિતે વનડે ઇન્ટરનેશનલમાં 271 ઇનિંગમાં 11516 રન બનાવ્યાં છે. જો હિટમેન બેટથી પહેલી વનડેમાં 64 રન બનાવે તો, તે વનડે ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવા મામલે સાઉથ આફ્રિકાના મહાન ઓલરાઉન્ડર જેક્સ કાલિસને પાછળ છોડી શકે છે. કાલિસના નામે 328 વનડે મેચમાં 11579 રન નોંધાયેલા છે.

એટલું જ નહીં, રોહિત શર્મા જો ન્યૂઝીલેન્ડ સામે વનડે સીરિઝમાં 224 રન બનાવે છે તો તે પાકિસ્તાની દિગ્ગજ ઇંજમામ ઉલ હકને પાછળ છોડી દેશે. રોહિત જે ફોર્મમાં છે, તેને જોઈને લાગે છે કે, તે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝમાં આ તમામ રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સીરિઝની પહેલી વનડે મેચ વડોદરાના બીસીએ સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યે રમાશે, જ્યારે બીજી વનડે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં 14 જાન્યુઆરીએ રમાશે. ત્રીજી અને છેલ્લી વનડે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં 18 જાન્યુઆરીએ રમાશે. બીજી અને ત્રીજી વનડે પણ ભારતીય સમયાનુસાર બપોરે દોઢ વાગ્યે રમાશે.