• એપ્રિલના પહેલા અઠવાડિયામાં જ ઝાડા-ઊલટીના 331, કમળાના 46 કેસ

  • અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વધી રહી છે અને પ્રદૂષિત પાણીની ફરિયાદો પણ વધી રહી છે
  • ગત એપ્રિલની તુલનાએ ચાલુ વર્ષે 6 દિવસમાં ઝાડા-ઊલટીના 85 ટકા, કમળાના 50 ટકા કેસ

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વધી રહી છે અને પ્રદૂષિત પાણીની ફરિયાદો પણ વધી રહી છે. શહેરમાં ઉનાળો શરૂ થવા સાથે જ ઝાડા-ઉલટી, કમળો, ટાઇફોઇડ, કોલેરા સહિત પાણીજન્ય રોગચાળો માજા મૂકી રહ્યો છે. એપ્રિલ મહિનાના પ્રથમ 6 દિવસમાં જ ઝાડા-ઉલટીના 331 કેસ નોંધાયો છે. ગત એપ્રિલ મહિનામાં ઝાડા-ઊલટીના 373 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલના 6 દિવસમાં જ ઝાડા-ઊલટીના લગભગ 85 ટકાથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે એપ્રિલના 6 દિવસમાં કમળાના 46 કેસ નોંધાયા છે. ગત વર્ષે એપ્રિલમાં કમળાના 92 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલના 6 દિવસમાં જ કમળાના 50 ટકા કેસ નોંધાયા છે. ટાઇફોઇડના 68 અને કોલેરાના 3 કેસ નોંધાયા છે. અમરાઈવાડી, વટવા અને દાણીલીમડામાં કોલેરાના એક-એક કેસ નોંધાયા છે. શહેરમાં મેલેરિયાના 3, ડેન્ગ્યૂના 6 દર્દી નોંધાયા છે. AMC ફૂડ વિભાગ દ્વારા પાણીપુરી, આઈસ ગોલા અને શરબતના સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવ્યા છે. એપ્રિલમાં સ્વાઇન ફ્લૂના 49 કેસ સહિત ચાલુ વર્ષે જાન્યુઆરીથી તા. 6 એપ્રિલ સુધીમાં સ્વાઇન ફ્લૂના 430 કેસ નોંધાયા છે. એપ્રિલમાં 1,474 પાણીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જે પૈકી 38 સેમ્પલ અનફિટ જાહેર થયા હતા. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સ્વાઇન ફ્લૂના શરદી, ખાંસી, વાઇરલ ફિવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે.

AMC હેલ્થ વિભાગના વડાએ જણાવ્યું છે કે, એપ્રિલ 6 દિવસમાં સ્વાઇન ફ્લુના 49 કેસો નોંધાયા છે. જે પૈકી પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસો નોંધાયા છે. છેલ્લા સાત દિવસમાં સ્વાઇન ફ્લૂના 60 જેટલા કેસો નોંધાયા છે.


  • Follow us on: