દેશમાં દર પાંચ વર્ષે પશુધન વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી ૨૦ મી પશુ વસ્તી ગણતરી વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવી હતી. જેમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોવાથી સમગ્ર દેશમાં ૨૧ મી પશુ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશ અને રાજ્યની સાથે સાથે પશુધન વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે. નવેમ્બર-૨૪ થી ફેબ્રુઆરી-૨૫ એમ ચાર માસ દરમિયાન સમગ્ર દેશમાં સરકાર દ્વારા પશુ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે.


પશુ ગણતરી

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત સરકાર દ્વારા બનાવાયેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પશુપાલકના દ્વારે જઈ પશુધન વસ્તી ગણતરીની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાનાં તમામ ૧૦ તાલુકાના ગામો તથા નગરપાલિકાઓના વોર્ડ મળી ૬૨૩ ગામો/વોર્ડમાં ૧૦ સુપરવાઈઝરો અને ૯૭ ગણતરીદારો દ્વારા પશુ ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ પશુધનની વસ્તી ગણતરીમાં ૧૬ જેટલી જાતના પશુઓની ગણતરી થશે તેમજ ૨૧૯ પ્રજાતિઓની ગણતરી કરવામાં આવશે.

સરકારની વિવિધ યોજના

આ પશુધન ગણતરી દ્વારા મળતી માહિતી સરકારની વિવિધ વિભાગની યોજનાકીય અને નીતિ વિષયક બાબતો માટે ઉપયોગી થશે, તેમજ રોગચાળા નાબૂદી માટે આગોતરા સસીકરણ જેવી કામગીરી માટે ઉપયોગી થશે. આથી જિલ્લાના પશુઓ ધરાવતા તમામ પશુ માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, આપના દ્વારે જ્યારે પશુ ગણતરીદાર આવે ત્યારે, તેમના પશુઓની સચોટ માહિતી પૂરી પાડવામાં આવે, તેમ નાયબ પશુપાલન નિયામક ડો.બી.બી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

  • Follow us on: