રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત તા.૪ ઓકટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરીને દરેક તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

હકારાત્મક નિરાકરણ કરાયું
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૨૮,૫૦૭/- રજૂઆતોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરાયું હતું. જિલ્લાના નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની ૫૫ જેટલી સીધી સેવાઓનો લાભ મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા દરેક તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સરકારના વિવિધ વિભાગોના ૨૨૩ જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા જેનો લાભ નાગરિકોને મેળવ્યો હતો. જિલ્લામાં ભાભર તાલુકામાંથી ૩૧૭૪, સુઈગામ તાલુકામાંથી ૨૧૦૩, ધાનેરા તાલુમાંથી ૨૦૦૭, દાંતીવાડા તાલુકામાંથી ૨૯૦૯, ડીસા તાલુકાની ૧૯૨૩, કાંકરેજ તાલુકાની ૩૫૯૫, વાવ તાલુકાની ૨૫૦૫, થરાદની ૨૧૦૧, દિયોદરની ૧૮૭૧, વડગામની ૧૩૫૧, લાખણીની ૧૫૬૫, દાંતાની ૧૨૮૩, અમીરગઢ તાલુકાની ૧૪૭૫ તથા પાલનપુર તાલુકાની કુલ ૧૭૦૫ રજૂઆતોનું હકારાત્મક નિરાકરણ કરાયું હતું.
સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.









