- મિલકતવેરામાં બે કરોડની આવકની ઘટ અન્યત્રથી વસુલ કરવા સૂચન
- લોકસભાની ચૂંટણી બાદ દરખાસ્ત કરવાનો વહીવટી તંત્રને સ્થાયીનો ઈશારો
- લોકસભાની ચૂંટણી બાદ આ દિશામાં કાર્યવાહી કરવા
રહેણાંક મિલકતોમાં ભાડુઆતનો દોઢ ટકા ભારાંક દૂર કરવાનો નિર્ણય આજની સ્થાયી સમિતીમાં કરવામાં આવ્યો પરંતુ આ ભાડુઆતનું પરિબળ હટાવવાથી કોર્પોરેશનની મિલકત વેરાની આવક બે કરોડ જેટલી ઘટી જશે. આ આવક ક્યાંથી મેળવી શકાય તે માટેના સ્ત્રોત શોધી કાઢવા સ્થાયી સમિતી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી બાદ આ દિશામાં કાર્યવાહી કરવા અને દરખાસ્ત સાથે સ્થાયી સમિતી સમક્ષ આવવા ઠરાવ કરાયો હતો.
ભાડેથી અપાયેલી રહેણાંક મિલકતના કિસ્સામાં કરદાતાઓને એક જ મિલકતના બબ્બે બિલો મળતા હતા, આ સમસ્યાને દુર કરવા રહેણાંક મિલકતોમાં ભાડુઆતનું પરિબળ હટાવી દેવામાં આવ્યું છે. એટલેકે રહેણાંક મિલકત ભાડે આપવામાં આવે તો પણ અમદાવાદની જેમ તેના ભારાંકમાં કોઈ ફેરફાર નહી રહે. મ્યુનિ કમિશનરની ભાડુઆતના ભારાંકમાં ફેરફાર માટેની દરખાસ્ત આજની સ્થાયી સમિતીમાં મંજુર કરવામાં આવી હતી. અત્યારસુધી ભાડુઆતના કિસ્સામાં દોઢ ટકા ભારાંક લગાવવામાં આવતો હતો. પરંતુ હવે રહેણાંકનુ મકાન ભાડે આપેલું હશે તો પણ એકસરખો એક ટકા ભારાંક જ લાગુ કરાશે. નોંધનીય છે કે, કરદાતાઓ તરફથી પણ અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભાડુઆત માટે અલગ ભારાંક નથી લગાવવામાં આવતો તેવી રજુઆત ચૂંટાયેલી પાંખ પાસેથી આવી હતી. પરંતુ સ્થાયી સમિતીના આજના પ્રજાલક્ષી નિર્ણયથી ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં આવેલી 31,716 જેટલી ભાડે આપેલી મિલકતધારકોને રાહત થશે.










