• હેલ્થ સેન્ટર પર ડૉગબાઇટના ઇન્જેક્શન આપવાનું શરૂ કરાયું

  • એક વર્ષમાં 12685 કૂતરાંઓના રસીકરણના દાવા વચ્ચે રોજ 100થી વધુ કેસ
  • 13,989 રખડતા કૂતરાંઓને પકડવામાં આવ્યા

શહેરમાં રખડતા કૂતરાંઓનો ત્રાસ યથાવત્ છે ત્યારે આજે એક જ દિવસમાં સ્મીમેર હોસ્પિટલમાં ડૉગબાઇટના 26 અને નવી સિવિલ હોસ્પિટલમાં 37 નવા કેસ નોંધાયા છે. ડૉગબાઇટની માહિતી જાહેર નહી કરવા ઉપરથી મનાઇ હોવાનો માજી અપક્ષ કોર્પોરેટર પ્રકાશ દેસાઇએ આક્ષેપ કર્યો છે.

રખડતા કૂતરાંઓના ત્રાસ વચ્ચે પાલિકા દ્વારા કાગળ પર કામગીરી ચાલતી હોવાનો આક્ષેપ કરી પ્રકાશ દેસાઇએ જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત 53 હેલ્થ સેન્ટર તથા આઠ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ડૉગબાઇટના કેટલા કેસ આવ્યા તેની માહિતી જાહેર કરવામાં આવતી નથી. આ અંગે મે પૂછપરછ કરી તો મને એવો જવાબ આપવામાં આવ્યો કે ડૉગબાઇટના કેસની માહિતી જાહેર નહી કરવા ઉપરથી સૂચના આપવામાં આવી છે. મેયર કે કમિશનરે આવી સૂચના આપી હોય તો ડૉગબાઇટના કેસ સંતાડવા કેમ પડે તે પણ જાહેર કરવું જોઇએ. પાલિકાના માર્કેટ વિભાગના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં 13,989 રખડતા કૂતરાંઓને પકડવામાં આવ્યા જે પૈકી 12685 કૂતરાંઓનું રસીકરણ કરવામાં આવ્યું.

રસીકરણની કામગીરી પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી આપવામાં આવી નથી. તેમણે જણાવ્યું હતું કે ઉધના ઝોનમાં આવેલા હેલ્થ સેન્ટરમાં છેલ્લા બે દિવસમાં ડૉગબાઇટના આઠ કેસ નોંધાયા છે જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ દિવસમાં ડૉગબાઇટના 200થી વધુ નવા કેસ નોંધાયા છે. પાલિકા સંચાલિત હેલ્થ સેન્ટર, નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ડૉગાબાઇટના કેટલા કેસ નોંધાયા તેના આંકડા જાહેર કરવામાં આવે તો શહેરમાં રખડતા કૂતરાંઓને કારણે કેટલો મોટો આતંક મચ્યો છે તે પુરવાર થશે.


  • Follow us on: