• ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની ઓળખ કરી મૃતદેહ સોંપાશે

  • મૃતદેહ જોઈ ઓળખ કરવી મુશ્કેલ, એફએસએલમાં રિપોર્ટ મોકલાશે
  • ઘટનામાં 27 કર્મચારી દાઝી જવા સાથે ત્રણની હાલત નાજુક

સચિન જીઆઈડીસી સ્થિત રોડ નં. 8 પર આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ લિ. રસાયણ કંપનીમાં મંગળવારે મોડીરાતે દોઢેક વાગ્યાના અરસામાં બનેલી દુર્ઘટના ટોક ઓફ ધી ટાઉન બની છે. કંપનીમાં રો મટિરિયલ્સના વેરહાઉસની સામે આવેલી ટ્રેક્ટા હાયડ્રો ફર્ન (ટીએચએફ) ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી નીકળેલી આગમાં 27 કર્મચારી દાઝી જવા સાથે ત્રણની હાલત નાજુક છે. બીજી બાજુ આ દુર્ઘટના બાદ લાપતા સાત કર્મચારીઓનાં મોતની વ્યક્ત કરવામાં આવેલી આશંકા સાચી ઠરી હતી અને ગુરુવારે સવારે એક પછી એક સાત નરકંકાલ મળી આળતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. ટીએચએફ ટેન્કમાં બ્લાસ્ટ થવા સાથે ભડકેલી આગમાં સાતેય મૃતકો ભડથું થઈ જતા સ્વજનો પણ તેમની ઓળખ કરી શક્યા નહોતા. સાતમાંથી બે મૃતદેહ એવા હતા કે, જેના કેટલાક અવયવ પણ મળ્યા નહોતા. છિન્નભિન્ન થયેલા મૃતદેહ જોઈ પોલીસકર્મીઓ પણ અવાક થઈ ગયા હતા. બનાવની ગંભીરતા જોતા સચિન જીઆઈડીસી પોલીસની મદદ માટે સચિન પોલીસ દોડી આવી હતી. જ્યારે પીએમ રૂમની બહાર ખટોદરા અને અલથાણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હવે અંતિમસંસ્કાર માટે રઝળપાટ

આગમાં મૃતદેહ એ હદે બળી ગયા છે કે, પરિવારના સભ્યો પણ પોતાના સ્વજનની લાશ ઓળખી શક્યા નથી. જેને લીધે પોલીસે ડીએનએ સેમ્પલ લઈ તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ આવ્યા બાદ સ્વજનોને મૃતદેહ સોંપવામાં આવશે. ડીએનએ રિપોર્ટ માટે પાંચ દિવસનો સમય જનાર હોય સિવિલ પ્રશાસનને પોલીસે યાદી મોકલી પાંચ દિવસ સુધી અહીંના પીએમ રૂમમાં સાતેય માનવકંકાલ સાચવી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.


  • Follow us on: