- કામરેજમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને મિલેટ્સ કાર્યક્રમ યોજાયો
- 2023ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે
- મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
કામરેજમાં દાદાભગવાન મંદિરમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને મિલેટ્સ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2023ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યું છે. આપણા ધાન્યોમાં ઉચ્ચ પોષણ ક્ષમતા છે, વધુ માત્રામાં પ્રોટીન, એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન, ફાઇબર તેમજ ખનીજ તત્ત્વોનાં ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને શ્રી અન્નની ઉપમા આપવામાં આવી છે તેમજ તંદુરસ્તી અને જમીનની ફળદ્રુપ્તા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રોષ્ઠ વિકલ્પ હોવાથી જેને અપનાવવાનો અનુરોધ કર્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારી સતિષ ગામીતે સ્વાગત પ્રવચન કરીને મિલેટ્સ પાકોનું વાવેતર વધારવા અને મોટા અનાજનો દૈનિક આહારમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી. સુરત જુવાર સંસોધન કેન્દ્રના સંસોધન વૈજ્ઞાનિક ડો. બી.કે.દાવડાએ જણાવ્યું હતું કે બાજરી, જુવાર, કોદરા, બંટી-બાવટો, રાગી જેવા આઠ પાકોનો મિલેટ્સમાં સમાવેશ થાય છે. આ મિલેટ્સ તંદુરસ્તીનો ખજાનો છે અને જુવારની ઘાસચારાની પાંચ જાતો સાથે જુવારની ખોરાક માટેની 13 જાતો હોય છે. આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પલસાણા તાલુકાના અંભેઠી ગામના ખેડૂત કમલેશભાઇએ પાકોમાં વ્હાઇટ ફ્લાઇના ઉપદ્રવને અટકાવવાનાં વિશે જણાવ્યું હતું કે 200 લી.ના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની 200 કિલો માટી ભેળવવી અને તેમાં બે દિવસનું ગોળનું પાણી મિક્સ કરી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રાણ કર્યા બાદ જેનાં 24 કલાક બાદ છંટકાવ કરવાથી સારુ પરિણામ મળે છે. કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત શાસકપક્ષના નેતા લાલુભાઇ વસાવા સહિત કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.










