• ઝાલાવાડમાં વેરિફિકેશન સહિતની કામગીરી બાદ ઓર્ડર કરાયા

  • બાકી રહેતા શિક્ષકો માટે આગામી દિવસોમાં બીજો રાઉન્ડ બહાર પડશે
  • શિક્ષણ વિભાગે નવી કમીટી રચી નવા નિયમો જાહેર કર્યા

રાજયની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની આંતરીક બદલીનો મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે શિક્ષણ વિભાગે નવી કમીટી રચી નવા નિયમો જાહેર કર્યા હતા. જેમાં તા. 2 થી 7 જુન સુધી જિલ્લા આંતરીક બદલી માટે શિક્ષકોને ઓનલાઈન અરજી કરવાની હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 955 શિક્ષકોએ અરજીઓ કરી હતી. આ અરજીના વેરીફીકેશન બાદ હાલ 428 શિક્ષકોના બદલીના હુકમો થયા છે. જયારે બાકી રહેતા શિક્ષકો માટે બીજો રાઉન્ડ હાથ ધરવાની પ્રક્રીયા ચાલી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજયમાં અગાઉ શિક્ષકોની જિલ્લા આંતરીક બદલીની કાર્યવાહી ખોરંભે પડી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. અને ત્યારબાદ શિક્ષણ વિભાગે નવી કમીટીની રચના કરીને નવા નીયમો જાહેર કર્યા હતા અને જિલ્લા આંતરીક બદલીની જુની પ્રક્રીયા રદ્દ કરવાનો નીર્ણય કર્યો હતો. ત્યારબાદ નવા નીયમ મુજબ નવો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં તા. રથી 7 જુન દરમીયાન બદલી ઈચ્છતા શિક્ષકોએ ઓનલાઈન અરજી કરવાની હતી. વધુમાં મળતી માહીતી મુજબ તા. 7 જુન સુધીમાં જિલ્લા કક્ષાએ 955 શિક્ષકોએ બદલી માટે ઓનલાઈન અરજી કરી હતી. આ અરજીઓ તા. 12 થી 15 જુન સુધીમાં તાલુકા કક્ષાએ મોકલી દેવાઈ હતી. જયારે 17 થી 26 જુન દરમીયાન વાંધા અરજી વગેરે સાંભળીને તા. 27 થી 29 જુન દરમીયાન રાજય કક્ષાએ વેરીફીકેશન માટે મોકલાઈ હતી. ત્યારે વેરીફીકેશનની કામગીરી પુરી થયા બાદ 955માંથી 428 શિક્ષકોના માંગણી મુજબ જિલ્લા આંતરીક બદલીના ઓર્ડરો શિક્ષણ વિભાગમાંથી થયા છે. આ શિક્ષકો હાલ જે સ્થળે ફરજ બજાવે છે ત્યાંથી ફરજ મુકત અને બદલીના સ્થળે હાજર થવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બદલીની કાર્યવાહી બાદ જે શિક્ષકો રહી ગયા હોય તેઓ માટે બીજો રાઉન્ડ આગામી દિવસમાં બહાર પાડવાની કામગીરી હાથ ધરાનાર છે.

31 મેની સ્થિતિએ ખાલી જગ્યાઓ ઓનલાઈન કરવાની હતી

તા. 18 મેથી વીવીધ શાળાઓ પાસેથી ખાલી જગ્યાઓ મંગાવીને ઓનલાઈન કરવામાં આવી હતી. ઓનલાઈન પોર્ટલ પર જગ્યાઓ અપલોડ કર્યા બાદ કોઈપણ સંજોગોમાં ખાલી જગ્યાનો પ્રકાર કે તેનો વિભાગ બદલાવી શકાય નહીં તેની જોગવાઈ રાખવામાં આવી હતી.

ગત વખતે 1200થી વધુ અરજીઓ આવી હતી

ગત વખતે 1200થી વધુ શિક્ષકોએ અરજીઓ કરી હતી. ત્યારે આ વખતે 955 અરજીઓ જ થઈ છે. આ ઘટાડાનું કારણ શિક્ષણ વિભાગને પુછતા જાણવા મળ્યુ કે, અગાઉ અમુક શિક્ષકોએ એક કરતા વધુ અરજીઓ કરી હતી. આ વખતે લોગઈન કરવાનો તેમનો નંબર રખાયો હોવાથી શિક્ષકો માત્ર એક જ અરજી કરી શકયા છે.

જિલ્લાની ખાલી 585 જગ્યાઓ સામે હાલ 428 ભરાઈ

જિલ્લામાં પ્રાથમીક શિક્ષકોની જિલ્લા આંતરીક બદલી માટે તા. 31 મેની સ્થીતીએ ખાલી જગ્યાઓ પોર્ટલ પર ઓનલાઈન કરાઈ હતી. જેમાં 585 જગ્યાઓ ખાલી દર્શાવાઈ હતી. ત્યારે હાલ આ જગ્યાઓ પર 428 શિક્ષકોના હુકમો થયા છે. ત્યારે હવે બાકી રહેતી 157 જગ્યાઓ માટે આગામી દિવસમાં બીજો રાઉન્ડ બહાર પડનાર છે.

જુલાઈના અંતમાં જિલ્લાફેર બદલી કેમ્પની શકયતા

શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ હાલ આંતરીક જિલ્લા બદલી કેમ્પ બાદ જુલાઈના અંતમાં જિલ્લા ફેર બદલી કેમ્પ પણ થનાર છે. જેમાં જિલ્લાના વતની એવા શિક્ષકો જિલ્લામાં આવી શકશે. જયારે જિલ્લા બહારના વતની શિક્ષકો અન્ય જિલ્લામાં જઈ શકશે. ઝાલાવાડ સાથે સમગ્ર રાજયમાં જિલ્લા આંતરીક બદલી કેમ્પ અને જિલ્લા ફેર બદલી કેમ્પ બાદ વિદ્યા સહાયકોની નવી ભરતી સરકાર કરે તેમ પણ લાગી રહ્યુ છે.


  • Follow us on: