ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા હજી પણ બિસ્માર હાલતમાં છે,ડાકોર-નડિયાદ માર્ગ અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્ચો છે,હરીપુરા ગામ પાસે રોડ સંપૂર્ણ ખાડાગ્રસ્ત છે તેમજ રોડ પર એક થી દોઢ ફૂટ ઉંડા ખાડા પણ જોવા મળ્યા છે,ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને વાહન ચાલકો તંત્ર અને સરકાર પર વરસાવી રહ્યાં છે ફિટકાર.
રોડ પર પડયો ખાડો
ડાકોર-નડિયાદ રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે,રોડ પર એક થી બે ફૂટ ઉંડો ખાડો પડી ગયો છે અને હરીપુરા ગામ પાસે રોડ સંપૂર્ણ તૂટી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવી રહેલ આ ખાડાગ્રસ્ત રોડના કવરેજ દરમિયાન જ જોવા મળ્યો લાઈવ અકસ્માત જેમાં દંપતી બાઈક સાથે રોડ પર પટકાતા પુરુષ ને ઢીંચણ અને મોં ના ભાગે નાની મોટો ઇજાઓ પહોંચી છે.દરરોજ અનેક અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.શું તંત્ર કોઈ નિર્દોષ વ્યક્તિના મોતની રાહ જોઈ રહ્યુ છે.?ત્યારબાદ સફાળું જાગશે.? તે એક સૌથી મોટો સવાલ છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.
ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે
ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.









