- ચોરડી ગામના હર્ષદસિંહ ઝાલાએ કરી ફરિયાદ
- કલમ 499, 500 મુજબ રૂપાલા સામે ફરિયાદ
- અગાઉ રાજકોટમાં પણ નોંધવામાં આવી છે ફરિયાદ
પરશોત્તમ રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણી અંગે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા એ રાજા મહારાજા અંગે કરેલી નિમ્ન કક્ષાની ટિપ્પણી અને વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ વચ્ચે ગોંડલમાં કલમ 499, 500 મુજબ રૂપાલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર, ગોંડલના ચોરડી નિવાસી હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ કોર્ટ માં પરશોત્તમ રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, સત્તાની લાલસામાં અન્ય સમાજમાં મત મેળવવા, ક્ષત્રિય સમાજને નીચો બતાવવા રાજા રજવાડાઓને હલકા દર્શાવવામાં આવ્યા છે.
શું કરવામાં આવી છે ફરિયાદ
આ સાથે રૂપાલા પર એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છેકે તેમના દ્વારા નિમ્ન કક્ષાનો વાણી વિલાસ કર્યો છે. જેનો વિડિયો વાયરલ થતા ક્ષત્રિય સમાજની આબરુને ઠેસ પહોંચી છે. આ રીતે ક્ષત્રિય સમાજની બદનક્ષી થઈ હોય પરશોત્તમ રુપાલા સામે કાર્યવાહી કરવામાં આવી જોઇએ. જેના માટે રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં કલમ 499, 500 મુજબ ફરિયાદ કરવામાં આવી છે. આ કેસમાં અદાલતે ફરિયાદીનું વેરિફિકેશન કરી બે સાક્ષીઓની તપાસણી માટે બોલાવવામાં આવશે.
અગાઉ રાજકોટમાં નોંધાઈ ફરિયાદ
જ્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર સામે કોર્ટમાં વધુ એક ફરિયાદ થતા રૂપાલાનો મુદ્દો શાંત લેવાનું નામ નથી લઈ રહ્યું. આ અગાઉ રાજકોટમાં પણ રૂપાલા સામે બદનક્ષીની ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદીનું વેરિફિકેશન પૂર્ણ, સાક્ષીઓને તપાસવા માટે તા.15મી એપ્રિલની મુદત પડી છે.









