- ઉનાળાની શરૂઆત સાથે જ જિલ્લામાં આગ લાગવાના બનાવો વધ્યો,
- અરવલ્લી જિલ્લામાં ઉનાળા દરમિયાન આગના બનાવોમાં વધારો થયા છે
- સ્થાનિકો અને વન વિભાગ દ્વારા આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી
અરવલ્લી જિલ્લામાં ઉનાળા દરમિયાન આગના બનાવોમાં વધારો થયા છે. ધુળેટીના દિવસે પણ જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ડુંગર ઉપર આગ લાગી હતી. જેના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકો અને વન વિભાગ દ્વારા આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
અરવલ્લીમાં સોમવારે ત્રણ ડુંગર ઉપર આગ ભભૂકી ઉઠી હતી. મોડાસા તાલુકાના દધાલિયા નજીક મઠ ગામની સીમમાં આવેલ ડુંગર ઉપર આગ ભભૂકી ઉઠતાં એક કિ.મી. સુધીનો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. દુર-દુર સુધી આગ જોવા મળતાં લોકો દોડી પહોંચ્યા હતા. આગમાં વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી પરંતુ આગ લાગ્યાના કલાકો સુધી વન વિભાગના કર્મચારીઓ કે અધિકારી ન ફરકતાં લોકોમાં રોષ ઉભો થયો હતો. ભિલોડા તાલુકાના રૂદરડી અને વેણપુરના ડુંગર ઉપર પણ આગ ભભૂકી ઉઠી હતી. આગના બનાવને પગલે સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓએ દોડી પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો. જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએ આગ લાગી હતી. અરવલ્લી જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વિવિધ જગ્યાએ આગ લાગવાના 10થી વધુ બનાવો સામે આવ્યા છે.










