જૂનાગઢના કેશોદમાં આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થ ઝીંકી આધેડની હત્યા કરી. ચર ગામના વાડી વિસ્તારમાં આધેડની હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માહિતી મળતા પોલીસ બનાવ સ્થળ પર પંહોચી જઈ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી.
કેશોદમાં આધેડની હત્યાની ગોઝારી ઘટના
પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે રાત્રે કેશોદ પંથકમાં ગોઝારી ઘટના બનવા પામી. ચર વાડી ગામમાં રહેતા આધેડની ક્રૂર રીતે હત્યા કરવામાં આવી. અજાણ્યા શખ્સોએ તેમના કાતિલ કૃત્યને અંજામ આપતા પહેલા આધેડ સાથે રહેતી પુત્રવધુને રૂમમાં બંધ કરી દીધી. અને ત્યાર બાદ અજાણ્યા શખ્સોએ આધેડને બોથડ પદાથ વડે માર મારી નિર્મમ હત્યા કરી. દરમ્યાન કોઈ સ્થાનિક કામસર આધેડના ઘરે ગયા ત્યારે તેમને લોહી લુહાણ હાલતમાં જોતા ડરી ગયા. સ્થાનિકોએ આધેડ પર થયેલ હુમલાને લઈને પોલીસને જાણ કરી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી સમગ્ર તપાસ હાથ ધરી.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચર ગામમાં રહેતા હત્યા કરવામાં આવેલ આધેડનું નામ ખીમાનંદ બોરખતરિયા હોવાનું સામે આવ્યું. ખીમાનંદ બોરખતરિયા એક ખેડૂત છે. ચર ગામના વાડીમાં ખીમાનંદ બોરખતરીયા અને તેમની પુત્રવધુ રહે છે. વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતની હત્યા કરાઈ ત્યારે અજાણ્યા શખ્સોએ તેમના પુત્રવધુના રૂમનો દરવાજા બહારથી કરી દીધો હતો. આધેડની હત્યાનું કારણ અકબંધ છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરશે કે આધેડ ખેડૂત હોવાથી જમીનને લઈને કોઈની સાથે દુશ્મનાવટ હતી કે પછી કોઈ અંગત અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. તેમજ આ ઘટનામાં શા માટે પુત્રવધુના રૂમનો દરવાજો બહારથી બંધ કરાયો તેને લઈને પણ પોલીસને અનેક સવાલો થઈ રહ્યા છે. પોલીસે હત્યા મામલે તમામ થિયરીને ધ્યાનમાં લઈ ઘટનાની તપાસ શરૂ કરી.









