ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યમાં અનેક જગ્યાએ આગની લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમરેલીના ધારીના જંગલમાં પણ ભયાનક આગ લાગી છે. દલખાણીયા રેન્જના જંગલ વિસ્તારમાં ભયાનક આગ લાગી છે. આગના કારણે 2 હેક્ટરમાં સૂકું ઘાસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.
વનવિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા
જો કે આગ લાગવાની જાણકારી વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. તમને જણાવી દઈએ કે આગના કારણે કોઈ પણ વન્ય પ્રાણીને નુકસાન થયું નથી. આ તમામ જાણકારી દલખાણીયા રેન્જ RFO જ્યોતિબેન વજાએ આપી છે.
કુતિયાણાના દેવડા ગામે રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં લાગી આગ
બીજી તરફ પોરબંદરના કુતિયાણાના દેવડા ગામે રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. 1થી 1.5 કિલોમીટરના ડુંગર એરિયામાં મોટી આગ લાગી છે. આગને કારણે સમગ્ર ડુંગર વિસ્તાર આગની ઝપેટમાં ફેરવાયો છે. ત્યારે સવાલ એ છે કે આગ કેવી રીતે લાગી કે કોના દ્વારા લગાડાઈ? ઉલ્લેખનીય છે કે દર વર્ષે કુતિયાણાના અલગ અલગ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આગ લાગે છે, જેમાં દર વર્ષે હજારો પક્ષી, વન્ય જીવો તેમજ હજારો વૃક્ષો બળીને ખાખ થઈ જાય છે. ત્યારે દર વર્ષે આગ લાગવાનું કારણ રહસ્ય બનીને જ રહી જાય છે.









