અમદાવાદ ખાતે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)નું 56મું અધિવેશન યોજવામાં આવ્યું હતું. શહેરમાં ABVPનું ત્રણ દિવસીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ABVPના આ અધિવેશનમાં સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ અંગે સમસ્યા પર ચિંતન કરી તેમાં જરૂરી સુધારા અંગે પ્રસ્તાવ રજૂ કરાયો. ABVPના ત્રણ દિવસીય અધિવેશનમાં ખાસ કીરને પ્રાઈવેટ યુનિવર્સિટી, સરકારી મેડિકલ કોલેજ, ભ્રષ્ટાચાર અને રાજ્યમાં વધતી રેગિંગ ઘટનાઓ અંગે વધુ ચર્ચા થઈ.
ABVPએ અધિવેશનમાં મૂકયા ચાર પ્રસ્તાવ
શહેરના બોડકદેવ ખાતે આવેલા એ.ઈ.એસ. ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ત્રિદિવસીય અધિવેશનમાં ABVP દ્વારા ચાર પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા. ABVP દ્વારા પ્રાઇવેટ યુનિવર્સિટી પર અંકુશ લાવવાની માંગ કરવામાં આવી. કારણ કે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં FRC નિયમ મુજબ ફી લેવામાં આવતી નથી.પ્રાઈવેટ યુનિવર્સિટી પોતાની મનમાન કરી બેફામ રીતે ફીની લૂંટફાંટ ચલાવે છે. આજે પ્રાઈવેટ યુનિવર્સિટીઓએ શિક્ષણનું વ્યાપારી કરણ કર્યું છે. અને આથી જ પ્રાઇવેટ યુનિવર્સિટી પર નિયંત્રણ થવું જરૂરી છે. અને તેમના અંકુશ લાવવા માટે ABVPએ રેગ્યુંલેટરી બોર્ડની માંગણી કરી.
મેડિકલ કોલેજ અને બેઠકો વધારવાની માંગ
રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોની અછત છે. તેમજ સરકારી કોલેજમાં મેડિકલ સીટમાં પણ વધારો કરવાની ABVPએ માંગ કરી. વિદ્યાર્થી સંગઠને રજૂઆત કરી કે ગુજરાતમાં માત્ર 6 સરકારી મેડિકલ કોલેજ છે.છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કોલેજ રાજ્ય સરકારને મળી નથી.પ્રતિભાશાળી યુવાનો મેડિકલનો અભ્યાસ કરવા રાજ્યની બહાર ના જાય માટે રાજ્યમાં વધુ સરકારી મેડિકલ કોલેજ ખોલવામાં આવે.
આ ઉપરાંત છાત્રસંઘની ચૂંટણીઓ વર્તમાન સમયમાં યોજાય તે ખૂબ જરૂરી હોવા પર પણ ભાર મૂકયો.અને GSET એક વર્ષમાં બે વખત આયોજન કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી.વિદ્યાર્થી સંગઠને શૈક્ષણિક સમસ્યા ઉપરાંત સામાજિક સમસ્યાને લઈને રજૂઆત કરી. રાજ્યમાં રેગિંગ ઘટના પણ અંકુશ લાવી દાખલા રૂપ સજાઓ કરવા તેમજ ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલ અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. આ ઉપરાંત ગુજરાતના મૂળ હાર્દ એવા ગામડાંઓ પણ વધુ વિકસિત થાય અને ગુજરાતના ગામડા સુધી ડિજિટલ શિક્ષણ પંહોચે તે પ્રકારનું માળખું ઊભી કરવાની માંગ કરી.
નવ નિર્માણ આંદોલનની થીમ
અમદાવાદ ખાતે 7 તારીખે શરૂ થયેલ અધિવેશન 9 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયું. આ વર્ષના અધિવેશનની થીમ નવ નિર્માણ આંદોલન પર આધારિત હતી. આ થીમ રાખવાનું મુખ્ય કારણ વિદ્યાર્થી શક્તિ એટલે કે વિદ્યાર્થીઓ શું કરી શકે છે તે બાબતની ઓળખ કરાવવાનો મૂળ ઉદેશ્ય હતો.વિદ્યાર્થીઓ પોતાની તાકત સમજી વ્યક્તિગત વિકાસ સાથે સમાજ અને દેશને નવી દિશા આપી શકે છે. કોઈપણ દેશના વિકાસમાં યુવાનોનો ફાળો વધુ હોય છે. અને આથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં યુવાનોને દિશાવિહિન ના થતાં સ્વામી વિવેકાનંદને આદર્શ બનાવી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાની હાકલ કરાઈ. ત્રણ દિવસીય ABVPના અધિવેશનમાં કૂલ 1500 જેટલા કાર્યકર્તાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ભારતીય વિદ્યાર્થી સંગઠનના અધિવેશનમાં સમાજ અને શિક્ષણ ક્ષેત્રે રહેલ ખામીઓ અંગે ચિંતન મનન કરાતા તેમાં સુધારા કરવા પ્રસ્તાવ રજૂ કરાયા.









