• માતાનું હરિદ્વારમાં નિધન થતાં પુત્ર પરિવાર સાથે અંતિમ ક્રિયા માટે જતા હતા

  • ભયંકર અકસ્માતથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર મૃતદેહો વેરવિખેર પડયાં
  • એક્સપ્રેસ પર ગાય સામે આવી જતા કાર બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી

અમદાવાદનો એક પરિવાર કાર લઈને રવિવારે સવારે માતાના અંતિમ સંસ્કાર કરવા હરિદ્વાર જઈ રહ્યો હતો ત્યારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થતા 3નાં મોત થયા છે. એક્સપ્રેસ પર એક ગાય સામે આવી જતા કાર બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. પરિવારની કમનસીબી જુઓ કે અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર તો નીકળી શકયા પણ પાછળથી આવી રહેલી ટ્ર્કે પતિ-પત્ની સહિત 3 લોકોને કચડી નાંખ્યા હતા. જયારે 7 લોકોને ઈજા પહોંચી હતી. અમદાવાદના રહેવાસી હસમુખભાઈની માતા સવિતાબહેન 6 મેના રોજ હરિદ્વાર ગયા હતા તેમનું શનિવારે સવારે નિધન થઈ ગયું હતું જેના કારણે તેઓ અમદાવાદથી પત્ની સીમાબહેન પુત્ર અને કાકા મોહનલાલ સહિત અન્ય સંબંધીઓ સાથે અંતિમ સંસ્કારમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. ત્યારે ભયંકર અકસ્માત થયો હતો. જેમાં હસમુખભાઈ, તેમના પત્ની સીમા અને કાકા મોહનલાલના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં હસમુખભાઈની બહેન નીતા અને નીલમ, મામા, નીતાબહેનની પુત્રી, હસમુખભાઈનો પુત્ર, ડ્રાઈવર દિનેશ સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી.મહત્વનુ છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ પ્રકારના અસંખ્ય બનાવો બની રહ્યાં હોવાનુ સામે આવ્યું છે. એક વર્ષ પહેલા બનેલા એક્સપ્રેસ હાઈવે પર માત્ર 10 માસમાં 95થી વધુ લોકોનાં મોત નીપજયા છે.


  • Follow us on: