સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતના 3 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં 1 મહિલા સહિત 4ને ઈજાઓ પહોંચી છે. ત્રણેય બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.


વઢવાણ તાલુકાના ચમારજ ગામે રહેતા 27 વર્ષીય મહેન્દ્રભાઈ ઉર્ફે શકિતભાઈ વશરામભાઈ માલવણીયા ખેતી કરે છે. તા. 1-2ના રોજ બપોરે તેઓ બાઈક લઈને પ્રાણગઢ કપાસ ભરાવવા ગયા હતા. જયાંથી તોલાટ નીતીન સોલંકીને લઈને ચમારજ તરફ પરત આવતા હતા. ત્યારે અધેળી-ચમારજ વચ્ચે એક એનીમલ હેલ્પલાઈન 1962ની ઈકો કારના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં મહેન્દ્રભાઈ અને નીતીનભાઈ ઉછળીને નીચે પટકાયા હતા. જેમાં બન્નેને ઈજા થતા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની જોરાવરનગર પોલીસ મથકે 1962 હેલ્પલાઈનના ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પ્રો.એએસઆઈ એ.વી.વસાણી ચલાવી રહ્યા છે. જયારે રતનપરના સોમનાથ ચોકમાં રહેતા ગીરધરભાઈ મથુરભાઈ મકવાણા ગેરેજ ચલાવે છે. તેમના સાળા પ્રવીણભાઈ જાદવના પત્ની ક્રીષ્નાબેને મગજનું ઓપરેશન કરાવેલ હોય તા. 31-1ના રોજ કાર લઈ રાજકોટ દવાખાને ગયા હતા. જયાંથી પરત આવતા હતા. ત્યારે ચોટીલાના જાનીવડલા પુલ પાસે કારમાંથી ધુમાડો નીકળતા કાર બંધ થઈ જતા ઈન્ડીકેટર ચાલુ કરી ગીરધરભાઈ, પ્રવીણભાઈ સહિતનાઓ નીચે ઉતર્યા હતા. અને બોનેટ ખોલી જોતા હતા.

આ સમયે ક્રીષ્નાબેન કારમાં જ બેઠા હતા. ત્યારે એક આઈસર ચાલકે કાર સાથે અકસ્માત કરતા ક્રીષ્નાબેનને જમણા પડખામાં નવ પાંસળીમાં ઈજા થતા સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. બનાવની ચોટીલા પોલીસ મથકે આઈસર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે રહેતા 32 વર્ષીય જયદીપસીંહ કનુભા જાડેજા જીઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે. તા. 28-1ના રોજ રાત્રે તેઓ ફરજ પુરી કરી ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઈવે પર બાઈક લઈને જતા હતા. ત્યારે ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે એક માલવાહક વાહને બાઈકને ઓવરટેક કરવા જતા અકસ્માત કર્યો હતો. જેમાં જયદીપસીંહને હાથે અને પગે ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી જે.આર.પીપળીયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: