બગોદરા વટામણ રોડ પર રાત્રિના સુમારે એક ખાનગી લકઝરી બસ ટ્રકની પાછળ ભટકાઈ હતી. જેના પગલે બસની કેબિનનો ખુડદો બોલી ગયો હતો. આ અકસ્માતના બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા 108ની ટીમ દ્વારા તુરત જ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માતના બનાવની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ બગોદરા વટામણ રોડ પરથી સુરતથી મોરબી તરફ જઈ રહેલી સાંઈ દર્શન ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે અને પૂરપાટ ગતિએ હંકારતા અને અચાનક કાબુ ગુમાવતા આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જેના પગલે લકઝરી બસની ચાલક કેબિનનો ખુડદો બોલી ગયો હતો. બનાવના પગલે બસના મુસાફરોની બુમાબુમથી દોડધામ મચી જવા પામી હતી. અકસ્માતના બનાવમાં જયેશભાઈ જસવંતભાઈ ચૌધરી ઉ.વ.44 નામના મુસાફરનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા 108 બગોદરાની ટીમે તુરત જ સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત નુતનભાઈ રાજાભાઈ વલવી(બસ ચાલક, ઉ.વ.27), ભાવનાબેન મનસુખભાઈ દેવીપૂજક(ઉ.વ.38) તેમજ જગ્ગનાથભાઈ લક્ષ્મણભાઈ ગુપ્તા(ઉ.વ.51)ને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર અર્થે ખસેડયા હતા. બનાવ અંગેની જાણ થતા બગોદરા પોલીસે સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










