ભારત અને ગુજરાત સરકારના સંયુકત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઇમ (જીવન પર્યંત એક જ વાર) કરાવવાની રહે છે.


ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી)ના ફાયદાઓ

ફાર્મર રજીસ્ટ્રી થકી ખેડૂતોને આધાર નંબરની જેમ પોતાની ખેડૂત આઈડી થકી યુનિક ઓળખાણ મળશે. આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન થકી લાભ મળી શકશે. આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સબંધી લાભો સરળ રીતે મળી શકશે. આગામી સમયમાં કેન્દ્ર સરકારશ્રીની ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે (૧) પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (૨) લઘુત્તમ ટેકાના ભાવની યોજના (૩) કિસાન ક્રેડીટ કાર્ડની યોજના (૪) નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (૫) પ્રધાનમંત્રી ફસલ બીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનોમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજીયાત કરવામાં આવશે, જેથી સરળ સત્યાપન થકી પારદર્શી પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનોમાં લાભ મળી રહેશે.

ખેડૂત નોંધણી ક્યાંથી કરાવી શકાશે?

1. આપના ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ-ધરા કેન્દ્ર પર VCE (કમ્પ્યુટર ઓપરેટર) મારફત કરી શકાશે. અથવા

2. ખેડૂત ખાતેદાર પોતાની જાતે https://gjfr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે.

ખેડૂત નોંધણી માટે સાથે રાખવાના જરૂરી આધાર પુરાવાઓ (જે જમા કરાવવાના રહેશે નહિ)

1. આધાર કાર્ડ

2. આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ

3. જમીનના સર્વે નંબર (૭/૧૨ અને ૮/અ ની નકલ)

ખેડૂત નોંધણી કરાવવી ફરજીયાત

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રૂ. ૨૦૦૦/- નો આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી ફરજીયાત કરવામાં આવેલ છે.જો આપ આગામી હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે. અન્યથા આપનો આગામી હપ્તો બંધ થઇ શકે છે.પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીએ તા. ૨૫/૧૧/૨૦૨૪ સુધીમાં ખેડૂત નોંધણી પૂર્ણ કરાવવી તેમજ બાકીના ખેડૂત ખાતેદારોએ તા. ૩૧/૦૩/૨૦૨૫ સુધીમાં ખેડૂત નોંધણી ફરજીયાત કરાવી લેવાની રહેશે.જમીનના સર્વે નંબર (૭/૧૨ અને ૮/અ) માં સામેલ તમામ સંયુકત ખાતેદારોની ખેડૂત નોંધણી કરાવવી ફરજીયાત છે.

  • Follow us on: