• ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો રાહત પેકેજની જાહેરાત
  • વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 350 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત
  • 9 જિલ્લાના 45 તાલુકાઓમાં ઉભા પાક, બાગાયત અને ફળના ઝાડને નુકસાન થયું

ગુજરાતમાં(Gujarat) જુલાઇ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ વિધાનસભામાં 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લ્લાઓનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે 4 લાખ હેકટર વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતો ને આ સહાય ચુકવવામાં આવશે. વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં કૃષિ સહાય પેકેજની જાહેરાત કરાઇ છે.

ખેડૂતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા પેકેજની જાહેર કરી

વિધાનસભા ગૃહ ખાતે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ ખેડૂતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે 18 થી 24 જુલાઈની વચ્ચે, આ 9 જિલ્લાઓમાં સતત અને ભારે વરસાદ થયો હતો, જેના પરિણામે લગભગ ચાર લાખ હેક્ટરમાં ઉભા પાકો, બાગાયતી પેદાશો અને કેરી જેવા ફળના ઝાડને નુકસાન થયું હતું. રાહત પેકેજ હેઠળ, કુલ બિન-પિયત ખરીફ પાકના 33 ટકા કે તેથી વધુ નુકસાન સહન કરનારા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 11,000 ની મહત્તમ રૂ.ની સહાય આપવામાં આવશે.

જ્યારે પિયત પાકના નુકસાન માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. વાર્ષિક બાગાયતી પાકો માટે, સરકારે 33 ટકા કે તેથી વધુના નુકસાન પર વધુમાં વધુ બે હેક્ટર માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર વળતર નક્કી કર્યું છે. 3 કે તેથી વધુ સિઝનમાં બાગાયતી પાક ઉગાડવાના કિસ્સામાં, વળતર પ્રતિ હેક્ટર 22,500 રૂપિયા હશે.

1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે

રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે 1.50 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે

ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે.


  • Follow us on: