ચાલુ રવિ સીઝન દરમિયાન રાયડાના ઊભા પાકમાં જોવા મળતા વિવિધ રોગો જેવા કે ભૂકી છારો, સફેદ ગેરુ અને થડના કોહવારાના અસરકારક નિયંત્રણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. રાયડામાં ભૂકી છારો રોગના ફેલાવાને રોકવા માટે ખેડૂતોએ પાક ૮૦ દિવસનો થાય તે પછી પિયત આપવાનું બંધ રાખવું જોઈએ.

રોગિષ્ટ છોડના અવશેષોને ભેગા કરી તેનો નાશ કરવો જોઈએ જેથી ચેપ આગળ ન વધે

રોગની શરૂઆત જણાય કે, તુરંત જ ગંધકની ભૂકી ૩૦૦ મેશ હેક્ટર દીઠ ૨૦ થી ૨૫ કિલોગ્રામ મુજબ છાંટવી. જો વધુ જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો. વૈકલ્પિક રીતે, દ્રાવ્ય ગંધક વેટેબલ સલ્ફર ૮૦% વે.પા. ૨૫ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી રોગ પર કાબૂ મેળવી શકાય છે. સફેદ ગેરુ, તળછારો અને પાનના ટપકાંના રોગ માટે મેન્કોઝેબ ૭૫% વે.પા. અથવા મેટાલેક્ષીલ એમ.ઝેડ ૭૨% વે.પા. ૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીનો છંટકાવ કરવાની સલાહ છે.

ખેતરમાં રહેલા રોગિષ્ટ છોડના અવશેષોને ભેગા કરી તેનો નાશ કરવો જોઈએ

આ ઉપરાંત, થડના કોહવારાના રોગને અટકાવવા માટે કાર્બેન્ડાઝીમ ૫૦% વે.પા. ૫ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ખેતીવાડી વિભાગે ખાસ ભાર મૂક્યો છે કે, ખેતરમાં રહેલા રોગિષ્ટ છોડના અવશેષોને ભેગા કરી તેનો નાશ કરવો જોઈએ જેથી ચેપ આગળ ન વધે. વધુમાં, દવાનો વપરાશ કરતી વખતે પેકિંગ પરના લેબલ મુજબની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવું. વધુ ટેકનિકલ માર્ગદર્શન માટે ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી