મિલેટ એટલે કે ‘શ્રી અન્ન’ના મહત્વને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે વિશ્વાબેન રાગીમાંથી તૈયાર કરેલી અનેકવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે. તેમનો આ પ્રયાસ માત્ર વ્યવસાય પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજમાં પરંપરાગત અને શુદ્ધ આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનું એક સશક્ત માધ્યમ સાબિત થઈ રહ્યો છે.
રાગી એ કુદરતી પોષક તત્વોનો અખૂટ ખજાનો છે
રાગીના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપતા વિશ્વાબેન ગામીતે જણાવ્યું હતું કે, રાગી એ માત્ર એક સાધારણ અનાજ નથી પરંતુ કુદરતી પોષક તત્વોનો અખૂટ ખજાનો છે. અન્ય પરંપરાગત ધાન્ય પાકોની સરખામણીમાં રાગીમાં ફાઈબર, કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે. આજના સમયની બેઠાડું જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે ઉદ્ભવતી ડાયાબિટીસ, હૃદયરોગ અને પાચનની સમસ્યાઓ સામે લડવામાં રાગી અત્યંત મદદરૂપ થાય છે. ખાસ કરીને રાગી પચવામાં ખૂબ જ હલકી અને સ્વાસ્થ્યપ્રદ હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વયના લોકો માટે તે એક ઉત્તમ અને સંપૂર્ણ આહાર સાબિત થાય છે.
ગ્રાહકોને ઝેરમુક્ત અને સાત્વિક આહાર પૂરો પાડે છે
આ માર્કેટમાં તેમના સ્ટોલ પર રાગીના લોટમાંથી બનાવેલી નવીન અને સ્વાદિષ્ટ વાનગીઓ જેવી કે રાગીના પૌષ્ટિક લાડુ, ક્રિસ્પી પાપડ, રાગીના ભૂંગળા અને અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે. વિશ્વાબેને વધુમાં ઉમેર્યું હતું કે, રાગી જેવા મિલેટ પાકો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ખૂબ જ ઓછા પાણીમાં અને કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર સરળતાથી ઉગાડી શકાય છે. આ પદ્ધતિ ખેડૂતો માટે ઓછી ખર્ચાળ હોવાની સાથે જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણની જાળવણી માટે પણ અત્યંત અનુકૂળ છે, જે અંતે ગ્રાહકોને ઝેરમુક્ત અને સાત્વિક આહાર પૂરો પાડે છે.
સુરેન્દ્રનગરનો આ મિલેટ મહોત્સવ સાચા અર્થમાં ‘સ્વસ્થ ભારત’ની સંકલ્પનાને સાકાર
વિશ્વાબેન ગામીત જેવા સજાગ મહિલા સાહસિકોની આ પહેલ સમાજમાં પૌષ્ટિક આહાર પ્રત્યે નવી સભાનતા લાવી રહી છે અને ‘મેદસ્વિતા મુક્ત ભારત’ના નિર્માણમાં પાયાનું કામ કરી રહી છે. સુરેન્દ્રનગરનો આ મિલેટ મહોત્સવ સાચા અર્થમાં ‘સ્વસ્થ ભારત’ની સંકલ્પનાને સાકાર કરવાનું પ્રેરણાપીઠ બની રહ્યો છે. મુલાકાતીઓ વિશ્વાબેનના સ્ટોલ દ્વારા મિલેટના આધુનિક ઉપયોગો અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓને સમજી રહ્યા છે, જેના પરિણામે લોકો ફરી એકવાર પોતાના પરંપરાગત ‘શ્રી અન્ન’ આહાર તરફ વળવા પ્રેરાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Surendranagar News : વઢવાણના આંગણે હુડો રાસ, ગોફ-ગૂંથણ અને પઢાર નૃત્યની પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા, ઝાલાવાડની જનતા ઉમટી પડી