• લોકોના ઘરોમાં તિરંગાનું ડેકોરેશન કરવામાં આવ્યું
  • શહેરની હોટલમાં તિરંગા સાથે ઉજવણીની ક્રિકેટ ચાહકોની તૈયારી
  • રાજકોટવાસીઓએ સાંજના તમામ કાર્યક્રમો કેન્સલ કર્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ટૂંક સમયમાં દુબઈમાં મહામુકાબલો શરૂ થવા જઈ રહ્યો છે. બન્ને ટીમો આ મેચ થકી એશિયા કપ-2022માં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સાંજે યોજાનારા ભારત-પાકિસ્તાનની મેચ પહેલા રાજકોટમાં જબરજસ્ત ક્રિકેટ ફીવર છવાયો છે.

રાજકોટ શહેરમાં રેસ્ટોરેન્ટ તેમજ અનેક ઘરોમાં તિરંગાના ડેકોરેશન કરાવવામાં આવ્યા છે. તેમજ અગાઉથી જ ઢોલ નગારાનો નાદ ગૂંજી રહ્યો છે. રાજકોટની હોટેલમાં તિરંગા સાથે ક્રિકેટ ચાહકો ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે. આ માટે ઢોલ નગારા અને બલૂન સાથે ક્રિકેટ ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

ક્રિકેટ ચાહકો ભારતના પાકિસ્તાન ઉપર વિજયના સૂત્રોચાર કરી રહ્યા છે. મેચ અગાઉ જ ક્રિકેટ ફેન્સ ભારતની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આજે રવિવાર હોવા છતાં રાજકોટ વાસીઓએ આજે સાંજે બહાર ફરવા જવાના તમામ કાર્યક્રમ કેન્સલ કર્યા છે અને ટોસ ઉછળતાની સાથે જ ટીવી સમક્ષ મેચ માણશે.

મેચમાં આજે પાકિસ્તાનના ભૂક્કા નીકળી જશે, તો પાકિસ્તાનમાં આજે ટીવી ફૂટશે. તેમ ક્રિકેટ પ્રેમીઓ જણાવી રહ્યા છે. મેચની તૈયારીઓ અંગે ક્રિકેટ પ્રેમીઓ બાળકોએ પણ મેચ અંગે અનોખો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. મોટેરાઓએ કહ્યું હતું કે રાજકોટમાં રાતે કરફ્યુ જેવો માહોલ સર્જાશે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 13 મેચ રમાઈ છે. જે પૈકી 7માં ભારતની જીત થઈ છે, જ્યારે 5માં પાકિસ્તાન વિજયી થયું છે. આ સિવાય એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. 
  • Follow us on: