અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. ગઈકાલે સિંધુભવન રોડ પર કાર્તિક પટેલના આલીશાન બંગલામાં પોલીસ ત્રાટકી હતી અને દારૂની બોટલ સાથે અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા. અને આજે કાર્તિક પટેલના બીજા નિવાસસ્થાન કે જેની પોલીસ કે તપાસ કરનાર અધિકારીઓ જ્યાં પહોંચી નથી ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે.
સંદેશ ન્યૂઝ પહોંચ્યુ કાર્તિક પટેલના બીજા નિવાસસ્થાને
ખાત્રજ રોડ પર આવેલા ખ્યાતી પ્લોટીંગમા કાર્તિક પટેલનો બંગલો આવેલો છે. પોલીસ કે અન્ય કોઈ તપાસ એજન્સી પાસે આ માહિતી નથી. કાર્તિક પટેલ અવાર નવાર પોતાના આ વૈભવી વિલામાં રોકાણ કરવા આવે છે. ફરિયાદના 10 દિવસ બાદ પણ કોઈ પોલીસ હજુ સુધી તપાસ માટે અહીંયા સુધી પહોંચી નથી.
ગુજરાત હાઇકોર્ટમાં ખ્યાતિકાંડ પર ચર્ચા
માંડલ અંધાપાકાંડની સુનાવણી સમયે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલ કાંડ વિશે ચર્ચા થઈ હતી. કોર્ટ મિત્ર દ્વારા ખ્યાતિકાંડ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. જેને લઈને હાઈકોર્ટે અવલોકન કર્યું કે, સરકાર આ બાબતે તપાસ કરી રહી છે. અમદાવાદના વિરમગામ તાલુકાના માંડલમાં અંધપાકાંડ મુદ્દે સુનાવણીમાં ચર્ચા થઈ હતી. મેડિકલ સંસ્થાઓ ક્લિનિકલ એસ્ટાબ્લીમેન્ટ એક્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન થઈ હોવાની કોર્ટ મિત્રની રજુઆત હતી. મેડિકલ કેમ્પ થતા બંધ કરાવવા કોર્ટ મિત્રએ કોર્ટમાં દાદ માગી હતી.
ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું
ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક દબાયેલું કૌભાંડ સામે આવ્યું છે. પતિ સાથે સેવા માટે ગયેલી પત્નીને પણ સ્ટેન્ટ મુકવામાં આવ્યું હતું. દિવાબેનને જાણ વગર તમને ૩૦૦ રૂપિયા આપીશુ કહીને સ્ટેન્ટ મૂકી દેવાયું. દિવાબેન તેમના પતિ રેવાભાઈ સાથે સેવા માટે ગયા હતા અને તેમને સુવાડી દીધા અને તમને હાર્ટ એટેક આવ્યો છે એમ કહીને સ્ટેન્ટ મૂકી દીધું. દિવાબેનને હાથમાં ત્રણ દિવસ લોહી વહી ગયું હતું. ખ્યાતિ હોસ્પિટલએ ગામમાં કેમ્પ કર્યો અને તેમને ખ્યાતિ હોસ્પિટલ લઇ જઈ સ્ટેન્ટ મુક્યા હતા.









