શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે સંખ્યા પણ વધી રહી છે. જેમાં 50 ટકા અકસ્માતો ટુ-વ્હીલર ચાલકના થાય છે અને મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવાના કારણે મૃત્યુ પામ્યા હોય એવું સામે આવ્યું છે ત્યારે શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ યુનિફોર્મમાં કે સિવિલ ડ્રેસમાં હોય અને પોતાના ફરજના સ્થળે તેમજ અન્ય સ્થળે અવરજવર કરવા માટે ટુ-વ્હીલર પર જતા હોય ત્યારે ફરજીયાતપણે હેલ્મેટ પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને સંદેશ ન્યૂઝમાં હેલ્મેટ વગરના વાહનચાલકો વિશે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવેલ. જે સમાચાર પ્રસિદ્ધ થતાં જ પોલીસ એક્શનમાં આવી હતી અને અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરના ગેટ આગળ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકોને પોલીસ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો.



પોલીસ સ્ટેશન અને કચેરીઓ ખાતે અમલવારીની સૂચના આપી

પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતાં પોલીસ અધિકારી/કર્મચારી/સિવિલિયન સ્ટાફ કચેરી ખાતે ટુ-વ્હીલર ચલાવીને આવતાં સમયે ફરજિયાતપણે હેલ્મેટ પહેરે તે અંગેની ચકાસણી કચેરીના તમામ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. ચકાસણી દરમિયાન જે કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગર ફરજ પર આવે તેઓને ઓફિસમાં પ્રવેશ આપવાનો રહેશે નહીં. તમામ પોલીસ સ્ટેશન અને કચેરીઓ ખાતે પણ આ જ રીતે અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમજ આજે રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પણ હેલ્મેટ પહેર્યા વગરના ટુ વ્હીલર ચાલકોને પ્રવેશ આપવામાં નહીં આવેનો નિર્ણય કરવામાં આવ્યો છે.



જો સૂચનાનુ પાલન ન થાય તો કડક કાર્યવાહી કરવાની રહેશે

પોલીસ કમિશનરે આ મામલે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગેની સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોથી લઈને સુપરવાઇઝરી અધિકારીઓને આ સૂચનાનો અમલ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે અને જો આ સૂચનાનું પાલન ન થાય તો એમવી એક્ટ હેઠળ તેમની વિરુદ્ધ દંડ કાર્યવાહી કરવાની રહેશે અને શિક્ષાત્મક પગલાં પણ લેવા માટે જણાવવામાં આવ્યું છે.


  • Follow us on: