અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવ આસમાને જઈ રહ્યા છે. શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. શિયાળાની શરુઆત થઈ છતાં શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. મોટાભાગના શાકભાજીમાં 10 થી 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદમાં છુટક બજારમાં શાકભાજીના ભાવ નીચે મુજબ છે.
- ચોળી, ગુવાર, ટીંડોળા 160થી 180 રૂ.કિલો
- બટાકા 50 રૂ, ટામેટા 90 રૂ, ડુંગળી 90 રૂ.કિલો
- ફુલેવર 120 રૂ, કોબી 100 રૂ, રીંગણ 80 રૂ કિલો
સંદેશ ન્યૂઝએ ગૃહિણીઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, શાકભાજીના ભાવમાં દિવસેને દિવસે વધારો થતાં અમારું બજેટ ખોરવાયું છે. શું ખાવુ શું ના ખાવું કંઈ સમજાતું નથી. અમુક શાકભાજીનો ઉપયોગ રોજ થતો હોય છે. તેવી શાકભાજીના ભાવ પણ વધી રહ્યા છે.

કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવ વધ્યા
શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે પરંતુ આ વખતે શિયાળાની શરુઆતથી જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું જણાવવું છે કે કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ત્યારે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેને લઈને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.









