પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં એક હજારથી વધુ મકાનો ધરાવતી અને જર્જરિત થઈ ગયેલી 3 મોટી રેલવે કોલોનીઓ બે વર્ષ પહેલાં તોડી પડાઈ હતી. આજદીન સુધી ફક્ત 90 મકાનો બનાવીને રેલવે તંત્રએ સંતોષ માન્યો છે. બાકીના હજારો રેલવે કર્મચારીઓના પરિવારો વૈકલ્પિક વ્યવસ્થા વગર અન્યત્ર ભાડાંના મકાનોમાં રહેવા મજબૂર બન્યા છે.


મણિનગર બાલવાટિકા પાસેની રાજપુર-હિરાપુર રેલવે કોલોની, મણિનગર રેલવે સ્ટેશન પાછળની ખોખરા રેલવે કોલોની, કાંકરિયા-ગોમતીપુર પાસેની ડિસ્કેલ રેલવે કોલોનીઓ જર્જરિત હોવાથી છેલ્લા બે વર્ષથી તોડી પડાઈ છે. આ અંગે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના સંયુક્ત મંડળ મંત્રી સંજય સૂર્યબલીના જણાવ્યા મુજબ, રેલવે તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી. હજારો રેલ કર્મીઓ કામના સ્થળેથી દૂર રહેવા મજબૂર બન્યા છે. રેલવે ઘર ભાડા આપે છે, પરંતુ તે મોંઘવારી મુજબ ઓછા છે.

પશ્ચિમ રેલવેમાં રેલવે કોલોનીઓની દશા ખરાબ છે. તે જર્જરિત, જોખમી અવસ્થામાં છે. સરકારે રિ-ડેવલોપમેન્ટ કરીને કર્મચારીઓને રહેવા માટે આપવી જોઈએ. રેલવેમાં આ અંગે યુનિયન દ્વારા દરખાસ્ત પણ મુકાઈ છે. છતાંય આજદીન સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. બીજી બાજુ રેલવેના ઉચ્ચ અધિકારીઓ આલિશાન બંગલાઓમાં રહે છે. વારંવાર રિનોવેશન કરાવે છે જ્યારે રેલવેનો સામાન્ય કર્મચારી ઘર માટે ભટકે છે.


  • Follow us on: