કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલે ફરિયાદી પાસેથી જમીન બાબતે મનાઈ હુકમ મેળવવાના કેસમાં 50 લાખની લાંચ માગી હતી જેમાં તેમના કહેવાથી 20 લાખની લાંચની રકમ મેટ્રો કોર્ટના વકીલ અને બીજા વચેટિયાને નરોડા વિસ્તારમાં લેવા મોકલ્યા હતા. એસીબીએ છટકુ ગોઠવીને બન્ને વચેટિયાને ઝડપી લીધા હતા.
ફરિયાદીએ પોતે વેચાણ બાનાખતથી ખરીદેલ જમીન બાબતે કઠલાલ સિવિલ કોર્ટમાં સામેવાળાઓ વિરુધ્ધ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો. આ દાવામાં ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે આરોપીએ પહેલા 50 લાખની માંગણી કરી હતી. આ પૈકી 20 લાખ પહેલા આપવાના હતા અને બાકીના નાણા મનાઈ હુકમ મળી ગયા બાદ આપવાનુ નક્કી કરાયુ હતુ. આ કેસમાં ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા છટકાનું આયોજન કરાયુ હતુ. જેમા નરોડામાં આવેલી મામલતદાર કચેરીની સામે ઝેરોક્ષની દુકાનમાં સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીના કહેવાથી મેટ્રો કોર્ટના વચેટિયા સુરેશ પ્રહલાદભાઇ પટેલ અને બીજો વચેટિયો વિશાલ કૌશીકભાઇ પટેલ લાંચની રકમ લેવા ગયા હતા જયાં એસીબીની ટીમે બન્નેને 20 લાખની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધા છે.

  • Follow us on: