એસીબીએ કપડવંજના તત્કાલીન એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ 3.75 લાખની લાંચની માંગણી કર્યાનો ગુનો મંગળવારે દાખલ કર્યો હતો. ગેરકાયદે રીતે વ્યાજે નાણાંની ધીરધાર મામલે ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે બે ગુના દાખલ થયા તેમજ વધુ ચાર અરજી થઈ હતી.
આ અરજી મામલે વધુ ગુના દાખલ ના કરવા આરોપીઓએ 4 લાખ માંગ્યા બાદ 3.75 લાખમાં નક્કી થયું હતું. ફરિયાદીએ એસીબીને જાણ કરતા ટ્રેપ ગોઠવાઈ પણ આરોપી હાજર ન હોવાથી છટકું નિષ્ફળ ગયું હતું. આ કેસની તપાસમાં પુરાવા મળતા એસીબીએ કાર્યવાહી કરી હતી.કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અને તેમના પરિવારના સભ્યો સામે ગેરકાયદે નાણાં ધીરધાર મામલે બે ગુના દાખલ થયા તેમજ નાણાં ધીરધાર મામલે વિવાદમાં ચાર અરજીઓ દાખલ થઈ હતી. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તે સમયે ફરજ બજાવતા એએસઆઈ ધીરાભાઈ મોહનભાઈ પગી અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ભારત સોલંકીએ વધુ ગુના દાખલ ના કરવા માટે બંને પોલીસ અધિકારી અને કર્મચારીએ દસ લાખ માગ્યા હતાં.










