અમદાવાદથી પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે રાજ્ય સરકારે એસટીની વોલ્વો બસ સેવા તા.27 જાન્યુઆરીને સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેનું બુકિંગ તા.25 જાન્યુઆરીથી શરૂ કરવાના ગણતરીના કલાકોમાં જ તા.25 ફેબ્રુઆરી સુધીની એટલેકે સળંગ 30 દિવસની તમામ બસો હાઉસફૂલ થઇ ગઇ હતી !


પ્રયાગરાજ માટે બસને મુખ્યમંત્રી લીલીઝંડી આપી દોડાવે તે પહેલા જ એસ.ટી.નિગમને 1.14 કરોડ રૂપિયાનો એડવાન્સમાં જ વકરો થઇ ગયો હતો.144 વર્ષે આવેલા મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓ અને તેમાંય અમદાવાદીઓ કેટલા ઉત્સુક અને આતુર છે તેનો અંદાજો ઉપરોક્ત બુકિંગ પરથી જ આવી શકે તેમ છે. ટ્રેનોમાં ટિકિટ નથી મળતી, હવાઇ ભાડા આકાશને આંબી રહ્યા છે, ખાનગી બસ ચાલકો તકનો લાભ લઇ રહ્યા છે. ખાનગી વાહનો લઇને પ્રયાગરાજ જવું દરેક પરિવારો માટે શક્ય નથી. તેવામાં રાજ્ય સરકારે શ્રાદ્ધાળુંઓ માટે પ્રયાગરાજ જવા માટે એસટીની વોલ્વો બસ સેવાનો ખોલોલે એક વિકલ્પ પણ હવે સામાન્ય લોકો માટે રહ્યો નથી. ત્યારે શ્રાદ્ધાળુંઓ ભારે નિરાસા અનુભવી રહ્યા છે.

સરકારની બસ દોડાવવાની જાહેરાત બાદ લોકો સમજે , વિચારે , પરિવારમાંથી કેટલા સભ્યોએ જવાનું છે તે નક્કી કરે તે પહેલા તો એસટીની તમામ વોલ્વો બસનું રાતોરાત જ બુકિંગ હાઉસફૂલ થઇ જતા સામાન્ય વર્ગના લોકો પણ વિચારતા થઇ ગયા છે કે આમ કેવી રીતે થયું ? સામાન્ય લોકો મહાકુંભ મેળામાં જઇ શકે તે માટે વધારાની બસો દોડાવવાની પણ લોકો માંગણી કરી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ અને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં કુંભના મેળાનો ક્રેઝ એટલો બધો છે કે, બંનેમાં કિડીયારૂં ઉભરાયું. કુંભના મેળામાં જવા માટે વોલ્વો ઉપરાંત અનેક નવી ટ્રેન મુકાઈ હતી તે હાઉસફૂલ થઈ ગઈ. પ્લેનની ટિકિટના ભાવ આસમાનને આંબવા માંડયા છે.


  • Follow us on: