દિવાળીમાં આ વર્ષે એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તા.9 થી 13 ઓક્ટોબરના છેલ્લા પાંચ દિવસમાં જ 9.60 કરોડની કિંમતની કુલ 3,97,290 ટિકિટો એડવાન્સમાં બુકિંગ થઈ જવા પામી છે. મુસાફરોના મિજાજ જોતા આ વર્ષે દિવાળીના તહેવારમાં અતિભારે ધસારો જોવા મળશે.


હાલ અમદાવાદ ગીતા મંદિર સ્ટેશને રોજની પાંચકે હજાર ટિકિટો કાઉન્ટરો પરથી એડવાન્સ બુક થઈ રહી છે. જેના માટે મુસાફરોના ભારે ધસારા વચ્ચે પડાપડીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદમાંથી સૌરાષ્ટ્ર તરફ સૌથી વધુ બુકિંગ થયા હોવાનું જાણવા મળે છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ તેમજ અમદાવાદ અને સુરતથી દાહોદ-ગોધરા માટેના બુકિંગ વધારે છે. ગત તા. 13 ઓક્ટોબરે એક જ દિવસમાં 83,576 ટિકિટો બુક થઇ હતી. જેના થકી નિગમને 1.97 કરોડની જંગી આવક થવા પામી હતી.

સામાન્ય દિવસોમાં રોજ 55 હજારથી 60 હજાર ટિકિટોનું એડવાન્સ બુકિંગ થતું હોય છે, પરંતુ હાલમાં રોજની 75 હજારથી વધુ ટિકિટો બુક થઇ રહી છે. ગત તા. 9 ઓક્ટોબરે 77,401 ટિકિટ બુક થઇ હતી. તેવી જ રીતે અનુક્રમે તા. 10ના રોજ 75,637 તા. 11ના રોજ 77,607 તા. 12ના રોજ 83,069 ટિકિટ બુક થઇ હતી. હાલ ઓનલાઇન એપ અને વેબસાઇટ પરથી બુકિંગ કરવા પર એક ટકો ડિસ્કાઉન્ટ મળતું હોય છે. બીજી તરફ સ્ટેશનો પર જઇને કાઉન્ટરો પરથી પણ બુકિંગ કરાવવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.


  • Follow us on: