ઓઢવમાં સીંગરવા વડવાળી ચાર રસ્તા પાસે ઢોર પકડવા ગયેલી સીએનસીડી વિભાગની ટીમ અને પીએસઆઈ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે સેનેટરી ઇન્સ્પેકટરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
મણિનગરમાં રહેતા પ્રશાંતભાઇ સથવારા AMCમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે. ગત 14 નવેમ્બરે સ્ટાફ સાથે ઢોર પકડવાની કામગીરી કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓઢવમાં સીંગરવા વડવાળી ચાર રસ્તા પાસે પહોંચ્યા તે સમયે એક ગાય રોડ પર ઉભી હતી. જેથી તેને પકડીને ડબ્બામાં પુરવાની કામગીરી કરાઈ રહી હતી ત્યારે રિતેશ રબારી, અમિત રબારી સહિત ચાર શખ્સોએ ગાય પકડવા ન દઈને ગાયોને ભગાડી દીધી હતી. બાદમાં આ 4 શખ્સ બિભત્સ ગાળો બોલીને મારામારી કરવા લાગ્યા હતા.આ અરસામાં પીએસઆઇ વચ્ચે પડતા શખ્સોએ તેમને પણ માર માર્યો હતો. જે સમયે ટોળુ ભેગુ થઇ જતા રિતેશ અને અમિતને ઝડપી પાડયા હતા. તો અન્ય બે શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. પ્રશાંતભાઇએ ચારેય શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










