શહેરમાં રખડતા ઢોરના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને જીવલેણ અકસ્માતોને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવ્યા.


AMCના CNCD વિભાગ દ્વારા શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી અને શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા મહદઅંશે હળવી થયેલી જોવા મળી હતી.

જોકે, છેલ્લાં કેટલાંક સમયથી શહેરમાં ફરીથી રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો હોવા અંગે હેલ્થ અને સોલીડ વેસ્ટ કમિટીમાં ખુદ BJPના જ કોર્પોરેટરોએ ફરિયાદો કરી હોવાનું જાણવા મળે છે. આ પ્રકારની ફરિયાદોને ધ્યાનમાં લઈને રખડતા ઢોરોને પકડવા માટે પગલાં લેવા CNCD વિભાગને તાકીદ કરાઈ છે.

શહેરના રાણીપ, નરોડા, મોટેરા, સાબરમતી, ચાંદખેડા, નવાવાડજ, થલતેજ, બોપલ, ઘુમા, ઓઢવ, વટવા, લાંભા, કૃષ્ણનગર, બાપુનગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર અંગે વ્યાપક ફરીયાદો મળી છે. રોડ પર રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતોથી લઈને લોકોના મૃત્યુ થયા હોવાની ઘટનાના પગલે ઢોર નિયંત્રણ પોલિસીનો કડક અમલ કરવામાં આવ્યો હતો. જોકે ફરી એકવાર શહેરમાં રોડ પર ઢોર રખડતા જોવા મળી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી છે.

કમિટીના ચેરમેન સહિત BJPના કોર્પોરેટરોએ DYMC અને અધિકારીઓને ફરીયાદ કરી હતી કે રોડ ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. અનેક વિસ્તારોમાં ઢોરના કારણે નાગરિકો અને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં રખડતા ઢોર અંગેની કેટલી ફરીયાદો મળી તે અંગે અધિકારીએ કહ્યું હતું કે રોજની ઓનલાઇનની માત્ર 10 જેટલી ફરીયાદો મળે છે પરંતુ મ્યુનિસિપલ કમિશનરની રીવ્યુ બેઠકમાં ઓનલાઇન ફરીયાદનો આંકડો 36 હતો જેથી અધિકારીએ આંકડા છૂપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તેમજ કેટલાં રખડતા ઢોર પકડયા તે અંગે પૂછતા તેની કોઈ માહિતી નહોતી.


  • Follow us on: