અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. રિમાન્ડ પૂરા થતાં ડોક્ટર વજીરાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે ખ્યાતિકાંડમાં આરોપી પ્રશાંત વજીરાણીને જેલહવાલે કરવાનો આદેશ કોર્ટે કર્યો છે. વજીરાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાના આદેશ ગ્રામ્ય કોર્ટે કર્યા છે.
ખ્યાતિકાંડના અન્ય આરોપીઓ હજુ ફરાર, લાસ્ટ લોકેશન જોવા મળ્યા
બીજી તરફ ખ્યાતિકાંડના અન્ય તમામ ફરાર આરોપીઓ સંતાકૂકડીનો ખેલ રમી રહ્યા છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ હાલમાં ઓસ્ટ્રેલિયાથી પણ ફરાર થઈ ગયો છે અને ન્યુઝીલેન્ડમાં છુપાવ્યો હોવાની જાણકારી મળી રહી છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચને અન્ય ફરાર તમામ આરોપીના લાસ્ટ લોકેશન પણ મળ્યા છે. જેમાં હોસ્પિટલના CEO ચિરાગ રાજપુતનું લાસ્ટ લોકેશન રાજસ્થાનના જેસલમેરનું જોવા મળ્યું છે. ત્યારે મિલિન્દ પટેલનું છેલ્લુ લોકેશન વૈષ્ણવદેવી સર્કલ પાસે જોવા મળ્યું છે અને રાજશ્રી કોઠારીનું છેલ્લુ લોકેશન તેમના ઘરનું અમદાવાદનું જ જોવા મળ્યું છે.
PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે.
એક આરોપીએ કોર્ટમાં જામીન માટે કરી અરજી
તમને જણાવી દઈએ કે ખ્યાતિકાંડ હોસ્પિટલના કાંડને લઈ એક આરોપીએ કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી છે. આરોપી સંજય પટોળિયાએ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે. જેમાં પટોળિયાએ ફી પેટે 65 લાખ રૂપિયા લીધા હોવાની વાત પણ સામે આવી છે. આ કેસમાં આવતીકાલે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી થઈ છે.