સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્દિરાબ્રિજથી નર્મદા કેનાલ સુધી પશ્ચિમ અને પૂર્વ નદીના બંને ભાગમાં પંચમહાભૂતના પાંચ તત્ત્વો પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ, આકાશ થીમ પર પાંચ-પાંચ પ્લાઝા બનશે. પંચમહાભૂતના પાંચ તત્ત્વો પર ગુજરાતમાં પહેલીવાર પ્લાઝા બની રહ્યા છે. ફેઝ-3ની આગામી નવેમ્બરમાં શરૂ થનારી કામગીરી અંતર્ગત એક પછી એક પ્લાઝાનું કામ શરૂ થશે.
મ્યુનિ. અધિકારીઓના જણાવ્યા મુજબ, વળતરની આશા વગર દુબઈની મે.શાભા રિયાલ્ટીસ કંપની સીએસઆર ફંડમાંથી રૂપિયા 1000 કરોડ ઇન્વેસ્ટ કરશે. આગામી અઢી વર્ષ એટલે કે 2027માં કામગીરી પૂર્ણ થવાનો મ્યુનિ.કોર્પોરેશનને અંદાજ છે. સરકાર દ્વારા ફેઝ-3ની કામગીરી માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી છે. આ અંતર્ગત કોર્પોરેશન દ્વારા હાઇડ્રોલિક્સ તેમજ ટેક્નિકલ કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે. આ કામગીરી માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે પણ કન્સલ્ટન્ટની નિમણૂક કરાઇ છે. કંપની દ્વારા તૈયાર કરાયેલી જરૂરી ડિઝાઇન ફાઇનલ કરી દેવાઇ છે. હવે મોટો સુધારો થવાની શક્યતા નથી. માણસનું શરીર પંચમહાભૂત તત્ત્વોનું બનેલું છે. ધાર્મિક દૃષ્ટિએ તેનુ ઘણુ મહત્ત્વ છે.










