અમદાવાદ શહેરમાં એક સમયે સાબરમતી નદી સ્યૂસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાતી હતી. જોકે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે જાળીઓ નાખીને બ્રિજ કવર કરવામાં આવ્યો છે તેમ છતાં અનેક લોકો કોઈ ને કોઈ કારણોસર બ્રિજ પરથી ઝંપલાવી આપઘાત કરી રહ્યા છે. ગત વર્ષ જાન્યુઆરી-2024થી લઈને 31 માર્ચ 2025 સુધીમાં 192 લોકોએ સાબરમતી નદીમાં કૂદીને મોતને વહાલું કર્યું હતું, જેમાં 165 પુરુષો અને 27 મહિલાનાં મોત થયાં છે. જ્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ બોટની ટીમે 26 પુરુષો અને 12 મહિલાઓ અને એક બાળકને જીવતા બચાવી લીધા હતા.


અટલબ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચેના રિવરફ્રન્ટના વોક-વે પરથી સૌથી વધુ લોકોએ નદીમાં ઝંપલાવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. બપોરે અને રાત્રે એકાંતનો લાભ લઈને લોકો નદીમાં મોતની છલાંગ લગાવી દે છે. અત્યાર સુધીમાં 95 ટકા કિસ્સામાં મોતને ભેટનારની ઓખળ થઈ ગઇ છે. જ્યારે પાંચ ટકા લોકોની ઓખળ થઈ શકી નથી.

આ કિસ્સામાં બે મહિના લાશને કોલ્ડરૂમમાં રાખ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરી દેવાય છે. ડીએનએ, કપડા, પીએમ રિપોર્ટ, વિસેરા સહિતા પુરવા સ્થાનિક પોલીસ સાચવી રાખે છે. ભવિષ્યમાં ઓળખ પ્રસ્થાપિત કરવામાં તે મદદરૂપ થઈ શકે છે.

પ્રેમપ્રકરણ, માનસિક બીમારી, ભણતરનું દબાણ, ઘરકંકાસ, લગ્નબાહ્ય સંબંધો, દેવું સહિતના કારણોસર લોકો આપઘાત કરી લેતા હોય છે. માર્ચ 2024માં નદીમાં 7-8 માસની બાળકીનું ભ્રૂણ પણ મળી આવ્યું હોવાનો કિસ્સો બનેલો છે. એક વર્ષ પહેલાં વાસણા બેરેજના ગેટ ખુલ્લા હોવાથી બે લાશો તણાઈને જિલ્લાના ગામોના નદીમાં તટમાં તણાઈ ગઈ હતી. છેક ખંભાતના અખાત સુધી ફાયરની ટીમે તપાસ કરી હોવા છતાં બે લાશો આજદિન સુધી મળી નહોતી. બ્રિજ પર સેફ્ટી જાળી નાખી દેવાઈ હોવાથી હવે બ્રિજ પરથી કુદીને આપઘાતના કિસ્સા 90 ટકા ઘટી ગયા છે.


  • Follow us on: