અમદાવાદ હવે વિકાસ નહીં પરંતુ જાણે કે દુર્દશા તરફ આગળ વધી રહ્યું હોય તેવી પ્રતીતિ અત્યારે શહરીજનોને થઈ રહી છે. શહેરનો એક પણ વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં લોકોને હાલાકીના પડતી હોય. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વગર જ આડેધડ રોડ ગટર સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી શરૂ કરતાં શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્લાનિંગ વગર જ તંત્રએ કામગીરી શરૂ કરી દીધી!
AMCને વર્ષ પૂર્ણ થવા આવ્યું ત્યારે યાદ આવ્યું કે શહેરમાં નવા રોડ બનાવવાના છે. નવી ગટર લાઈન નાખવાની છે, બ્રિજ બનાવવાના છે, સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની છે. પરંતુ કદાચ અધિકારીઓ ભૂલી ગયા હશે કે આ કામગીરી શરૂ કરીએ એ પહેલા પૂર્ણ ક્યારે થશે તેનું પ્લાનિંગ કરીએ કે પછી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરીએ અને બાદમાં કામનો આરંભ કરીએ. આ આડેધડ કામ ચાલુ કરવામાં આવ્યું અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.
કોઈ વૈકલિક વ્યવસ્થા નહીં,બસ જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા
સામાન્ય રીતે લોકોને સૌથી વધારે ઉતાવળ ઓફિસ જવા માટે હોય છે. ચોમાસા પહેલા સુધી લોકો એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવામાં પહેલા જે 30 મિનિટ કે 1 કલાકનો સમય લાગતો હતો, જે હવે લગભગ બમણો સમય થઈ ગયો છે. હાલમાં અમદાવાદમાં મહત્વના એરિયા મુજબ જોઈએ અથવા તો પૂર્વથી પશ્ચિમ અમદાવાદ આવવા જવા માટે રોડ જોઈએ તો પશ્ચિમ અમદાવાદના કોઈપણ રોડથી તમે જાઓ તો પૂર્વમાં પહોંચવા માટે લગભગ દોઢથી બે કલાક જેટલો સમય લાગી જાય છે.
પશ્ચિમથી પૂર્વ તરફ જવા માટેના મુખ્ય માર્ગ હેલ્મેટ ક્રોસ રોડથી કાલુપુર બ્રિજ સુધી સતત ટ્રાફિક જામ હોય છે, જેમાં દિલ્હી દરવાજા અને કાલુપુર ચોખા બાજરી સુધી ભારે ટ્રાફિક જામ, ઈસ્કોન ક્રોસ રોડથી સાળંગપુર બ્રિજ અને કાલુપુર સુધી ટ્રાફિક જામ, વિશાલા ચાર રસ્તાથી નારોલ તરફ જાઓ તો શાસ્ત્રી બ્રિજ એક તરફની લાઇન ચાલુ છે, જેથી આ બ્રિજ ક્રોસ કરવામાં 30 મિનિટથી વધારે સમય પસાર થાય છે.
દરેક જગ્યા પર ડાયવર્ઝન અને વાંકાચૂકા રસ્તાઓ
એસજી હાઇવે રિંગરોડથી વૈષ્ણોદેવી ચાર રસ્તાથી ચિલોડા ક્રોસ રોડ સુધી ટ્રાફિકજામ હોય છે તો વૈષ્ણોદેવી ક્રોસ રોડ પસાર લેવામાં 45 મિનિટ સમય લાગે છે, રીંગ રોડ પર હોટેલ હિલ લોક પાસે ડીવાયડર તોડવામાં આવ્યું, જેથી ત્યાં ટ્રાફિક થાય છે. રીંગ રોડ પર સુઘડથી ચિલોડા સુધી રોડની કામગીરી ચાલે છે, જેથી ત્યાં પણ જામ થાય છે. આમ, આખા અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જાણે કે તોડી દેવામાં આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ તંત્ર વિકાસની વાતો કરી રહ્યું છે, બીજી તરફ આયોજન વગર કામ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે એવામાં તંત્રએ આ અંગે નક્કર કામગીરી કરવી જરૂરી બની ગઈ છે.









