- 3 સોસાયટીઓમાં કપિરાજે આતંક મચાવ્યો
- બાળકો સહિત મહિલાઓ, વૃદ્ધો પર હુમલો
- ફોરેસ્ટની ટીમ દ્વારા કપિરાજને પાંજરે પુરાયા
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આતંક ફરી સામે આવ્યો છે. કપિરાજે 5થી 6 લોકો ઉપર હુમલો કર્યો અને 3 સોસાયટીઓમાં આતંક મચાવ્યો છે. કપિરાજથી હાલમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ રહ્યા છે.
કપિરાજના હુમલાના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે
સોસાયટીમાં રમતા બાળકો સહિત મહિલાઓ, વૃદ્ધો પર કપિરાજ અચાનક જ હુમલો કરે છે, કપિરાજના હુમલાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને વનવિભાગની ટીમને જાણ કરતા ટીમ તાત્કાલિક આવીને હાલમાં કપિરાજને પાંજરે પુરાયા છે. ત્યારે સ્થાનિકોનું માનવું છે કે વિસ્તારમાં હજુ પણ બીજા કપિરાજ છે, જે લોકોને હેરાન કરે છે.
અગાઉ પણ 7 વ્યક્તિઓને કપિરાજે બચકા ભર્યા હતા
થોડા દિવસ અગાઉ પણ વસ્ત્રાલ વિસ્તારમાં કપિરાજનો આંતક જોવા મળ્યો હતો અને રહીશો કપિરાજાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, વસ્ત્રાલ રિંગ રોડ પર કપિરાજના આતંકથી સ્થાનિકો ખુબ પરેશાન થઈ રહ્યા હતા, એક અઠવાડિયામાં સાત વ્યક્તિઓને કપિરાજે બચકા ભર્યા હતા અને મોટુ નુકસાન પહોંચાડ્યુ હતુ. બીજી તરફ કપિરાજના ડરથી રહીશો કોઈ જગ્યા પર એકલા જતા પણ ડરી રહ્યા હતા.









